પતિના બાઇક પાછળથી પડી જતાં ધોરાજીના મુમતાઝબેનનું મોત
રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યોઃ ચાર સંતાન મા વિહોણા
રાજકોટ તા. ૧૮: ધોરાજીના મુસ્લિમ મહિલાનું પતિના બાઇક પાછળથી પડી જતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ ધોરાજીની અંટાળા શેરીમાં રહેતાં મુમતાઝબેન યુસુફભાઇ વાઢા (ઉ.૩૫) તા. ૧૭ના રોજ પતિ યુસુફભાઇ ઇસ્માઇલભાઇ વાઢા સાથે જુનાગઢ સગાના ઘરે આટો મારવા ગયા હતાં. ત્યાંથી પરત ધોરાજી આવતી વખતે જાલસણા રોડ પર કુતરૂ આડે આવતાં યુસુફભાઇએ કાબુ ગુમાવતાં પાછળથી પત્નિ મુમતાઝબેન પડી જતાં ગંભીર ઇજા થઇ હતી. યુસુફભાઇને પણ પગમાં ઇજા થઇ હતી. મુમતાઝબેનને જુનાગઢ, ધોરાજી સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાત્રે તેમનું મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ ધોરાજી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે.