સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th May 2021

જામનગરમા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ પી. જી. વી. સી. એલ. ની 62 ક્વિક રિસ્પોન્સ ટીમોની કાબિલેદાદ કામગીરી*તાઉ-તે વાવાઝોડાની અસરથી જામનગર જિલ્લાના 180 ગામોમાં ખોરવાયેલ વીજપુરવઠો માત્ર 18 કલાકમાં જ પૂર્વવત કરાયો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા ૧૮,તાઉ-તે વાવાઝોડાની જામનગર જિલ્લામાં નહીવત અસર જોવા મળેલ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે હાથ ધરવામાં આવેલ વિવિધ સુચારૂ વ્યવસ્થાઓના કારણે સમગ્ર જિલ્લામાં જાનમાલની કોઈ ગંભીર નુકસાની નોંધાયેલ નથી. તેમ છતાં વાવાઝોડાની અસરના કારણે પવનની ગતિમાં વધારો નોંધાયેલ હતો, જેના કારણે જામનગર જિલ્લાના ૧૮૦ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ તેમજ ૨૬૦ જેટલા વિજ થાંભલાઓ તથા ૨૫૦ વિજ ફિડરને નુકસાન થયું હતું. પરંતુ વાવાઝોડા સંદર્ભે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા જિલ્લા કલેકટર શ્રી રવિશંકરની આગેવાની તથા પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઈજનેર શ્રી સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ ૬૨ ક્વિક રીસ્પોન્સ ટીમોએ માત્ર ૧૮ કલાકના ટૂંકા ગાળામાં જ તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી પ્રશંસનીય કામગીરી બજાવી છે.

 

આ અંગે વધુ વિગતો આપતા પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઈજનેર શ્રી સી.કે.પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે જામનગર જિલ્લાના ૧૮૦ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો તેમજ ૨૬૦ તથા ૨૫૦ જેટલા વિજ ફિડરો ક્ષતિગ્રસ્ત થયેલ હતા. ત્યારે આગોતરા આયોજન મુજબ પી.જી.વી.સી.એલ. દ્વારા તૈયાર કરવામાં આવેલ ૬૨ ક્વિક રીસ્પોન્સ ટીમો યુદ્ધના ધોરણે ઉપરોક્ત તમામ સ્થળોએ વિષમ પરિસ્થિતિમાં પણ કામે લાગી હતી અને વીજપુરવઠો કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી હતી અને તા.૧૮ મે ૨૦૨૧ના રોજ રાત્રે ૦૯:૦૦ કલાક સુધીમાં એટલે કે માત્ર ૧૮ કલાકના ટૂંકા ગાળામાં જ તમામ ૧૮૦ ગામોમાં વીજપુરવઠો પુનઃ કાર્યરત કરવામાં સફળતા રહી હતી.

(1:16 pm IST)