અમરેલી, ભાવનગર, જુનાગઢ, સોમનાથ જિલ્લામાં દોઢ લાખ હેકટરમાં ખેતીને નુકશાનઃ સર્વે શરૂ
સૌરાષ્ટ્રના ૪ જિલ્લાઓમાં વરસાદ-વાવાઝોડાના તરખાટથી વ્યાપક અસર
રાજકોટ તા. ૧૯: છેલ્લા ૩ દિવસના વાવાઝોડા અને વરસાદી માહોલથી કેટલાક જિલ્લાઓમાં ખેતીને નુકશાન થયું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળુ પાકને પુષ્કળ નુકશાન થયું છે. સરકારે ત્વરિત સર્વે કરવા આદેશ આપ્યાં છે.
ઉપરોકત ૪ જિલ્લાઓમાં ખેતરમાં રહેલ મગફળી, તલી, મગ વગેરેને નુકશાન થયું છે. બાગાયત ક્ષેત્રે સૌથી વધુ નુકશાન કેરી અને નાળીયેરીને થયું છે અસરગ્રસ્ત વિસ્તારોમાં વૃક્ષો પરની કેરીઓ ખરી પડી છે. અમુક વિસ્તારોમાં હજુ વરસાદી વાતાવરણ છે. સૌરાષ્ટ્રના ૪ જિલ્લાઓમાં આશરે ૧ાા લાખ હેકટર જગ્યામાં રહેલા પાકને નુકશાન થયાનો અંદાજ છે. કોરોના અને આંશિક લોકડાઉનની માઠી અસર ભોગવી રહેલો ખેડુતો માટે પડયા પર પાટા સમાન સ્થિતિ થઇ છે.દરમિયાન રાજયના કૃષિ સચિવ શ્રી મનીષ ભારદ્વાજે જણાવેલ કે સૌરાષ્ટ્રમાં ૪ જિલ્લાઓમાં ખેતીમાં વિશેષ નુકશાન છે. રાજયમાં નુકશાનીનો તાત્કાલીક સર્વે કરવા સુચના અપાયેલ છે. સર્વેના આધારે સરકાર નિયમ મુજબ સહાય ચુકવણી અંગે નિર્ણય કરશે.