ભાવનગરમાં સાગર ચાવડાની હત્યા
છોકરી ભગાડી જવાના મામલે થયેલ ડખોઃ ઘાતક શસ્ત્રો વડે પાંચ શખ્સોનો હૂમલો
ભાવનગર તા. ૧૯ :.. ભાવનગરનાં માલધારી સોસાયટીમાં રહેતાં યુવાન ઉપર પાંચ શખ્સોએ જીવલેણ હૂમલો કરી હત્યા કર્યાનો બનાવ બનવા પામ્યો છે.
આ બનાવની વિગતો એવી છે કે ભાવનગરનાં નારી ચોકડી વિસ્તારમાં મુળ સીદસરના અને હાલ ભાવનગરનાં માલધારી સોસાયટીમાં રહેતા સાગરભાઇ જીવાભાઇ ચાવડા ઉ.ર૩ ઉપર સીદસર ગામનાં પ્રતાપ વલકુભાઇ ખાચર, વનરાજ વલકુભાઇ ખાચર, દેવરાજસિંહ સહિતનાં પાંચ શખ્સો એ છોકરી ભગાડી જવાનાં મામલે બોલાચાલી કરી ઘાતક હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ધમકી આપી નાસી છૂટયા હતાં.
ઇજાગ્રસ્ત સાગરભાઇને ગંભીર હાલતે અત્રેની સરટી. હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતાં બનાવ ખુનમાં પરિણમ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
યુવાન ઉપર જીવલેણ હૂમલો
ભાવનગરમાં ઘોઘા રોડ લાખાજીનગર શેરી નં. ૩ માં રહેતા અજય ઉર્ફે પીટર જીણાભાઇ મકવાણા ઉ.ર૪ ઉપર ચકુવાડી વિસ્તારમાં ભરત આહિર, સિધ્ધરાજ ઉર્ફે સૂર્યા આહિર, ચંદ્ર આહિર, કેવલ આહિર, કિશન ધીરૂભાઇ સોલંકી તેમજ ત્રણ અજાણ્યા શખ્સો સહિત કુલ નવ શખ્સોએ તલવાર, છરી, ધારીયા તેમજ પાઇપ સહિતનાં ઘાતક હથિયારો વડે હૂમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા અત્રેની સરટી. હોસ્પીટલમાં ખસેડાયેલ છે જયાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે બી. ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.