માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગમાં શાસ્ત્રોકત વિધિ કરીને મુહુર્ત સચવાશેઃ લોક મેળો રદ્દ
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ : કોરાનાને પગલે માધવપુર ઘેડમાં પરંપરાગત શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગમાં શાસ્ત્રોકત વિધિ કરીને લગ્નનું મુહુર્ત સાચવી લેવાશે અને રામનવમીથી ૪ દિવસનો લોકમેળો આ વખતે અગાઉ થયેલ જાહેરાત મુજબ યોજાશે નહી. ભાવિકો એકઠા નહી થવા અનુરોધ કરાયો છે.
માધવપુર ઘેડમાં શ્રીકૃણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ પ્રસંગમાં માત્ર શાસ્ત્રોકત વિધિ પ્રમાણે મુહુર્ત સાચવી લેવાશે કોરાનાને કારણે લોકમેળાનું આયોજન કરેલ ન હોય ભાવિકોને એકઠા નહી થવા અનુરોધ કરાયો છે.
સૌરાષ્ટ્રના ત્રણ મુખ્ય લોકમેળામાં જુનાગઢનો શીવરાત્રી મેળો તથા તરણેતરનો લોકમેળો તથા માધવપુરનો ભાતિગળ લોકમેળાનો સમાવેશ થાય છે.લોકકથા મુજબ શ્રીકૃષ્ણએ રૂક્ષ્મણીજીનું અપહરણ કરીને માધવપુર નજીક મધુવન બગીચામાં લાવેલ અને રૂક્ષ્મણીજીના ભાઇ રૂકમૈયા સાથે યુદ્ધ કરીને તેને શ્રીકૃષ્ણએ હરાવીને રૂક્ષ્મણીજી સાથે મધુવનમાં લગ્નમાં ચાર ફેરા ફર્યા હતા. જે લગ્ન પ્રસંગ પરંપરાગત ઉજવાય છે.