સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th April 2019

સાળંગપુર શ્રી કષ્‍ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ઉમટ્યા ભાવિકોઃ આખો દિવસ દર્શનનો લાભ

બોટાદ :સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મદિર ખાતે હનુમાન જયંતીને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ દાદાના દર્શન માટે લોકોની પડાપડી જોવા મળી છે. હનુમાન જયંતીને લઈ આજે મંદિરમાં અલગ અલગ પ્રકારના આયોજન કરાયા છે.

સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે આજે સવારથી દાદાના દર્શન માટે ભક્તોની લાઇન જોવા મળી હતી. જેવા મંદિરના દરવાજો ખૂલ્યા કે, લોકો દાદાના દર્શન માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. મંગળા આરતીનો લાભ લેવા માટે લોકો મોટી સંખ્યામાં મંદિર પહોંચી ગયા હતા. આજે હનુમાનજી જયંતી હોઈ આખો દિવસ મંદિર ખુલ્લુ રહેવાનું છે.

મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

- મંદિરમાં સવારે 7 વાગે મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં પહેલીવાર દંપતી જોડે બેસશે.

- બપોરના 11 કલાકે અન્નકૂટ આરતી તેમજ ઉનાળો હોઈ આવનાર ભક્તો માટે છાશ, ઠંડા પીણાંનું આયોજન કરાયું છે.

 - હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે.

- મંદિરમાં સૌ પ્રથમ વાર સાઉન્ડ અને લાઈટીંગ શોનું પણ આયોજન કરાયું છે.

આજે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિનો તહેવાર છે. ત્યારે દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ હનુમાનજીના મંદિરોમાં ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે, દેવોમાં હનુમાનજી જલદી પ્રસન્ન થનારા દેવ છે અને જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેને હનુમાનજી અવશ્ય સહાય કરે છે. આજે હનુમાન જયંતી નિમિત્તે પણ અનેક શ્રદ્ધાળુઓ હનુમાન ચાલીસાને કે સુન્દરકાંડના પાઠ કરે છે અને હનુમાનજીની કૃપા મેળવવા પ્રયાસ કરે છે. તો હનુમાન જયંતી ઉપરાંત આજે ગજકેસરી અને ચિત્રા નક્ષત્રનો યોગ બની રહ્યો છે. જે જ્યોતિષની દ્રષ્ટિએ ઘણો મહત્વનો માનવામાં આવે છે.

(4:53 pm IST)