સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th April 2019

રાહુલ નકલી બ્રાહ્મણ? ભુજમાં પરેશ રાવલનું વિવાદિત નિવેદન

ભુજ,તા.૧૯: આ વખતે લોકસભાની ચૂંટણી નેતાઓના વિવાદિત નિવેદનોના કારણે વધુ ચર્ચામાં છે. આજે ભુજમાં એક બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બીજી બાજુ ભાજપના સાંસદ અને ફિલ્મ સ્ટાર પરેશ રાવલ બન્ને ચૂંટણી પ્રચાર અર્થે હોઈ હાઇવોલ્ટેજ રાજકીય માહોલ સર્જાયો હતો. જોકે, રાહુલ ગાંધી તેમના નિયત સમય કરતાં મોડા પડ્યા તે વચ્ચે પરેશ રાવલ સમયસર આવી ગયા હતા. એટલુંજ નહીં પણ પરેશ રાવલે વિવાદાસ્પદ નિવેદન સાથે કચ્છનો રાજકીય માહોલ ગરમ બનાવી દીધો હતો.

ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે ભુજમાં મોરબી કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી પ્રચાર માટેના રોડ શો પૂર્વે મીડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વખતે તેમની ચૂંટણી લડવાની ઈચ્છા ન હોઈ પોતે જાતે જ ટીકીટ માંગી નહોતી. અમદાવાદમાં પરેશ રાવલના નામ સામે વિરોધ થયા વિશે તેમણે વધુ કંઈ બોલવાનું ટાળ્યું હતું. જોકે, તેમણે પોતે આ ચૂંટણી પ્રચાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માટે કરી રહ્યા છે. મોદી ફરી સત્તામાં આવે ભાજપની સરકાર બને તે માટે પોતે ચૂંટણી પ્રચારમાં સક્રિય છે. વર્તમાન ચૂંટણીમાં રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા કરાઇ રહેલા વિવાદાસ્પદ નિવેદનો વિશે ખેદ વ્યકત કરનાર પરેશ રાવલે પોતે જ એક વિવાદાસ્પદ નિવેદન કરીને રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ સર્જી દીધી છે. પરેશ રાવલે મીડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આજે બે બ્રાહ્મણો ભુજમાં છે. જેમાં એક નકલી બ્રાહ્મણ છે અને એક અસલી બ્રાહ્મણ છે. રાહુલ ગાંધી પોતાને બ્રાહ્મણ કહી ચુકયા છે. જોકે, પરેશ રાવલે સીધેસીધો નામનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. પણ, એકબાજુ આજે સૌને ખબર હતી કે રાહુલ ગાંધી કચ્છમાં છે એ સંદર્ભે પરેશ રાવલનું નિવેદને કચ્છમાં તો રાજકીય હલચલ સર્જી દીધી છે.

(12:47 pm IST)