સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th April 2019

ભાવનગરમાં આવતીકાલે વિરાટ કવિ સંમેલન

નારન બારૈયાના કાવ્યસંગ્રહ 'અથવા તો સતત સતત'નું વિમોચનઃ વિજય રાજયગુરૂ, લાભુભાઇ સોનાણી સહિતના કવિઓ કરાવશે શબ્દ રસપાન

ભાવનગર, તા.૧૯: સાહિત્ય સરિતા, મુંબઇ તથા રાષ્ટ્રિય અંધજન મંડળ, ભાવનગર જીલ્લા શાખાના સંયુકત ઉપક્રમે ભાવનગરમાં અંધઉદ્યોગશાળા વિદ્યાનગર ખાતે ૨૦ એપ્રિલ, શનિવારે સાંજે એક વિરાટ કવિ સમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમેલન સાથે કવિ નારન બારૈયાના રોમેન્ટિસીઝમથી ભરપૂર કાવ્યસંગ્રહ 'અથવા તો સતત સતત...'નું વિમોચન થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરમાં શનિવારે સાંજે ૭:૧૫ વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં કવિ લાભુભાઇ સોનાણી, વિજય રાજયગુરૂ, જીગર જોશી પ્રેમ, નિનાદ અધ્યારુ, નીરવ વ્યાસ અને નારન બારૈયા કાવ્યપઠન કરશે. આ સાથે જ નારન બારૈયાના રોમેન્ટિસીઝમથી ભરપૂર કાવ્યસંગ્રહ 'અથવા તો સતત સતત...નું વિમોચન કવિ ડો. અલ્પેશ કલસારિયાના હસ્તે થશે. કલમકાર નારન બારૈયા અગાઉ 'એક અંગત વાત' જેવો વાર્તાસંગ્રહ અને 'શબ્દ સંગીત' જેવો હાસ્યનિબંધ સંગ્રહ આપી ચૂકયા છે. જેમાંથી રાષ્ટ્રિય અંધજન મંડળ દ્વારા શબ્દસંગતનું બ્રેઇલ લીપીમાં કન્વર્ઝન પણ થયું છે. અથવા તો સતત સતત વિશે કવિ પરેશ કલસારિયા તેમની વિવેચનાત્મક ટિપ્પણી રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ રાજીવ ભટ્ટ દક્ષરાજ કરશે. કાર્યક્રમની સફળતા માટે મીટ ઇન્ડીયા ફાઉન્ડેશન અને રાષ્ટ્રિય અંધજન મંડળ અને પરિવર્તન પુસ્તકાલય, કાંદીવલી, મુંબઇ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. દરેક કાવ્ય-સાહિત્યરસિકોને પધારવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

(12:41 pm IST)