પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં દ્રોણેશ્વર ગુરુકુલમાં સત્સંગ સભા અને કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની મહા-આરતિ
ઉના તા ૧૯ ફાગણ શુદી એકાદશીના રોજ, ઉના પાસે, મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં, દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની પરિસરમાં બિરાજીત કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ષોડશોપચાર પૂજન અને મહા-આરતિનો કાર્યક્મ યોજાયો હતો અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું
આ સભામાં ઉના, ફાટસર,ઇંટવાયા, દ્રોણ, અંબાડા, ઇંટવાયા, ખીલાવડ, ગીરગઢડા, જરગલી, જુના ઉગલા, નવા ઉગલા, વગેરે ગામોમાંતી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુનિવત્સલદાસજી સ્વામીએ વચનામૃત અંતર્ગત એકાદશી માહાત્મ્યનું વચનમૃતનું વાંચન કર્યા બાદ એકાદશીનું માહાત્મ્ય સમજાવતા પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ, ક્રોધાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહી અને દેહે કરીને કાંઇ ભૂંડું આચરણ કરવું નહી.
ખરેખર એકાદશ ઇન્દ્રીયોના આહાર ત્યાગ કરે તે સાચી એકાદશી છે. અગ્યારેય ઇન્દ્રીઓ કુમાર્ગે દોડે એ એકાદશી કહેવાય નહીં. અા વ્રત પંદર દિવસે આવે છે તો ખબરદાર થઇને કરવું તો ભગવાન પ્રસન્ન થાય છે.
અેકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કિર્તન કરે ને સાંભળે ને રાત્રીએ જાગરણ કરે તો તે વ્રત સાચું છે અને શાસ્ત્રમાં એનું નામ જ એકાદશી કહી છે.
તમામ મહેમાનોને પ્રસાદની વ્યવસ્થા ગુરુકુલમાં જ કરવામાં આવી હતી. રસોડાની વ્યવસ્થા પુજારી હરિદર્શનદાસજી સ્વામી અને હરિપ્રિયદાસજી સ્વામીઅે સંભાળી હતી. સભાનું સંચાલન ભંડારી સ્વામી શ્રી હરિકૃષ્ણદાજી સ્વામીએ તથા કોઠારી શ્રી નરનારાયણદાસજી સ્વામીએ સંભાળ્યું હતું.