સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

સોમનાથમાં જે ટોપલામાં ફુલ વેચતી હતી તે જ ટોપલામાં પાયલ માટે પૂ.ગીરીબાપુએ દાન એકત્ર કર્યુ

ગરીબ પરિવારની દિકરીની અંગ્રેજી શીખવાની અને અમેરિકા જવાની ઇચ્છા પરિપુર્ણ થશે

જુનાગઢ, તા.૧૯: સોમનાથ ખાતે પ્રાર્થના પરિવાર દ્વારા આયોજિત પુજય શ્રી ગિરિબાપુના વ્યાસાસને થયેલ શિવકથા દરમ્યાન બાવીસ વર્ષની સફરમાં બાપુ પ્રથમ વખત એક ગરીબ દિકરીના સન્માન માટે વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતર્યા હતા.

આ દિકરીનું નામ પાયલ છે. અને તે સોમનાથ મહાદેવનાં મંદિરે આવતા દર્શનાર્થીઓને ફુલમાળા પ્રસાદ બિલ્વપત્ર વેચવાનુ કામ કરે છે. એકદમ ગરીબ ઘરની દિકરીને દરીદ્રતાના કારણે નથી મળ્યો અભ્યાસ, બીલકુલ છે અભણ..ઘરનુ ગુજરાન ચલાવવા આ દિકરી ફુલમાળા વેચીને કરે છે એમના પરિવારનું ગુજરાન અને નાના એવા ઝુપડામાં રહે છે.

શ્રી ગિરિબાપુએ આ દિકરીને વ્યાસપીઠ ઉપર પોતાની પાસે બેસાડી કર્યુ સન્માન પાયલે બાપુને ઝુપડામાં પધારવા આપ્યુ આમંત્રણ પછી જે ટોપલામાં તે ફુલ વેચતી હતી તે જ ટોપલામાં આ પાયલ માટે બાપુએ કર્યુ દાન એકત્ર. અને પછી ખુદ શ્રી ગિરિબાપુએ પોતે વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરી પાયલનુ રૂપિયાના વરસાદથી કર્યુ સન્માન.

વ્યાસપીઠ ઉપરથી ઉતર્યા હોય તેવો બનાવ શ્રી ગિરિબાપુની બાવીસ વર્ષની સફરમાં પ્રથમવાર છે.

એટલુજ નહીં પરંતુ શ્રી ગિરિબાપુએ પાયલને તેની શું ઈચ્છા છે એવુ પુછ્યુ તો પાયલે બે ઈચ્છા બતાવી એક તો અહીં વિદેશથી આવતા દર્શનાર્થીઓને અંગ્રેજીમાં દાદા સોમનાથનો ઈતિહાસ કહી શકુ તે માટે મારે અંગ્રેજી શિખવુ છે અને બીજુ કે એક વખત મારે અમેરીકા જવુ છે. તો પાયલની આ બંને ઈચ્છાઓ પુરી થાય તે માટે શ્રી ગિરિબાપુએ બે દાતા પણ તરતજ તૈયાર કરી આપ્યા જેમા અંગ્રેજી શિખવાડવાની જવાબદારી નાથુભાઈ સોલંકી પ્રભાસ હોટલવાળાને સોંપી તથા અમેરીકા લઈ જવાની જવાબદારી સાધનાબેન જેઓ અમેરિકા રહે છે તેને સોંપી અને વધુમાં પાયલના લગ્નપ્રસંગની જવાબદારી પણ કમાભાઈ રાઠોડને સોંપવામાં આવી અને એ લગ્નપ્રસંગ નાના સુના નહીં ધામધૂમથી કરવાનાં અને છેલ્લે શ્રી ગિરિબાપુએ પાયલને રૂપિયાની ગાંછડી ભરીને ઘરે મોકલી હતી અને આનંદ કરવાતા કહ્યું હતું કે પાયલને હવે ઘરે એકલી ના જવા દેતા કારણ કે રૂપિયાની આખી ગાંછડી સાથે છે ત્યારબાદ બાપુએ જણાવ્યું હતું કે આ એક ફુલમાળાનું ફળ છે બાપુએ વધુમા જણાવ્યું હતું કે હું જયારે આ કથાના પ્રથમ દિવસે મંડપ જોવા આવ્યો ત્યારે આ દિકરી દોડીને મને ફુલમાળા પહેરાવી ગઇ હતી અને એનો પરિચય મને જીતુપુરીએ કરાવ્યો કે આ પાયલ છે અને અહીં ફુલમાળા વેચવાનુ કામ કરે છે વધુમાં જણાવ્યું હતું કે આજે દાદા સોમનાથે તેની ઉપર કૃપા વરસાવી દીધી છે તેમજ પાયલને કહ્યું હતું કે હવે તુ તારો આ ફુલમાળા વેચવાનો ટોપલો તોડી નાખજે અને અંગ્રેજી શિખવા લાગી જજે તારી તમામ ઈચ્છોઓ પુરી થઈ છે.

આજે શ્રી ગિરિબાપુએ આ જબ્બરજસ્ત કાર્ય કરી સમાજમા એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે કે કથાકારો સાધુ સંતો મહંતો પુજારીઓ માત્ર પોતાના માટે નહીં પરંતુ પરોપકાર માટે પણ કાર્ય કરે છે અને સાબીત કરી બતાવ્યું છે કે આ દેશના સાધુએ હંમેશા બીજાનુજ ભલુ કર્યુ છે અને બીજા માટેજ માંગ્યુ છે.

 

(11:45 am IST)