વેરાવળમાં બરણીમાં બે મૃત નવજાત શિશુ મળ્યા
મોતના કારણ અંગે તપાસનો ધમધમાટઃ ફોરેન્સિક ટીમને બોલાવાઇ
તસ્વીરમાં મૃત હાલતમાં મળી આવેલ બંન્ને નવજાત શિશુના મૃતદેહ બરણીમાં પેક નજરે પડે છે. (તસ્વીર દિપક કક્કડ) (૩.૭)
વેરાવળ તા. ૧૯: વેરાવળમાં આજે સવારે બે નવજાત શિશુના મૃતદેહ બરણીમાં પેક કરેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળના સટ્ટા બજારમાં આવેલ સ્વામિનારાયણ ચોક નજીક આજે સવારે સફાઇ કામદાર સફાઇ કરી રહ્યા હતા ત્યારે કાચની બરણીમાં મૃત હાલતમાં બે શિશુ જોવા મળ્યા હતા.
આ દરમ્યાન એ.એસ.પી. અમિત વસાવા ઘટના સ્થળ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સફાઇ કામદારોએ આ બનાવ અંગે તેમને જાણ કરી હતી જેથી તેમણે પોલીસ ટીમને બોલાવી આ બંન્ને નવજાત બાળકોના મૃતદેહને પોર્સ્ટમોર્ટમ માટે ખસેડેલ છે.
એકસાથે બે બાળકોના મૃતદેહ બરણીમાં પેક કરેલી હાલતમાં મળી આવતા આ બનાવથી વેરાવળમાં ભારે ચર્ચા જાગી છે. ફોરેન્સિક અને એકસપર્ટ ટીમને બોલાવીને આ બનાવનુ કારણ જાણવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.