સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

જામનગરના ૪ મિત્રો એક સાથે લાપતા થયા બાદ રાજકોટથી મળ્યા

જુદા જુદા વિસ્તારોમાં શોધખોળ કર્યા બાદ રાજકોટના રેલ્વે સ્ટેશનેથી હેમખેમ મળી આવતા હાશકારોઃ જામનગરથી ફરવા નીકળી ગયા'તા

તસ્વીરમાં રેલ્વે પોલીસ સ્ટાફ સાથે ચારેય કિશોરો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 જામનગર, તા., ૧૯:  જામનગરના જુદા જુદા વિસ્તારમાંથી ૪ જેટલા મિત્રો લાપતા થયા બાદ આજે બપોરે રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપરથી મળી આવતા પરીવારજનોએ  હાશકારો અનુભવ્યો છે.

પ્રાપ્ત માહીતી મુજબ જામનગરના પંચવટી વિસ્તાર સહિત જુદા જુદા વિસ્તારોમાં રહેતા ચાર  મિત્રો ગઇકાલે અચાનક લાપતા થયા હતા. આ પચારેય મિત્રોની પરીવારજનોએ મોડી રાત્રી સુધી શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ ચારેય મિત્રોનો પતો ન લાગતા અંતે સીટી બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ કરવામાં આવી હતી. આ મિત્રોની પોલીસ અને પરીવારજનોએ આખી રાત સુધી શોધખોળ ચાલુ રાખી હતી.

ત્યાર બાદ આજે બપોરે રાજકોટના રેલ્વે સ્ટેશન ઉપરથી આ ચારેય કિશોરો મળી આવતા પોલીસે તેમનો કબ્જો લઇને જામનગર પોલીસને સોંપવામાં આવ્યા હતા.

આ ચારેય સગીર વયના કિશોરો રાજકોટ ફરવા માટે આવ્યા હોવાનું રાજકોટ રેલ્વે પોલીસે પ્રાથમીક પુછપરછમાં જણાવ્યું હતું.

(3:58 pm IST)