કોટડા સાંગાણીના ડુંગળી બટેટાના ધંધાર્થી મુસ્તુફા પર વ્યાજની ઉઘરાણી મામલે હુમલો
સાત લાખ સામે દોઢી રકમ ચુકવી દીધી છતાં વધુ સાત લાખ મંગાતા હોવાનો આક્ષેપઃ રફિકભાઇ અને તેના પુત્રોએ ડોલથી મારકુટ કરી
રાજકોટ તા. ૧૯: કોટડા સાંગાણીમાં જુમ્મા મસ્જીદ પાસે રહેતાં અને રાજકોટના લોઠડામાં ડુંગળી બટેટાનો ધંધો કરતાં મુસ્તુફા સતારભાઇ ભખર (મેમણ) (ઉ.વ.૩૦) પર રાતે દસેક વાગ્યે ઘરે હતો ત્યારે ગામના જ રફિકભાઇ અને તેના બે પુત્રો મોહસીન તથા અનીશે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી માથા-શરીરે પાણી ભરવાની ડોલથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને જૈમીનભાઇ પટેલે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી. મુસ્તુફાના મામાના કહેવા મુજબ મુસ્તુફાએ અલગ અલગ સમયે ધંધા સહિતના કામ માટે રફિકભાઇ પાસેથી સાતેક લાખ વ્યાજે લીધા છે. આ રકમ સામે દોઢી રકમ ચુકવી દીધી છે. પરંતુ હજુ વધુ આ લોકો બીજા સાત લાખ માંગી ઉઘરાણી કરી મારામારી કરી ગયા હતાં. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.