દુષ્કર્મ આચરી નરાધમે અન્ય સાથે લગ્ન કરી સગીરાને બીજાને હવાલે કરતા તેણે પણ દુષ્કર્મ આચર્યુ
માણાવદરનાં શ્રમિક પરિવારની બે શખ્સો સામે ફરીયાદ
(વિનુ જોશી) જુનાગઢ તા. ૧૯ :.. માણાવદરનાં એક પરિવારની સગીરાને એક શખ્સે લગ્નની લાલચ આપી તેણી પર દુષ્કર્મ આચરી અને અન્ય સાથે લગ્ન કરી બીજાને હવાલે કરી દેતા તેણે પણ બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.
આ બન્ને નરાધમો હાલ ફરાર છે અને તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઉતર પ્રદેશનો એક પરિવાર માણાવદરના બહાારપરા વિસ્તારમાં ભાડાનાં મકાનમાં રહે છે.
મજૂરી કામ કરીને પેટીયુ રળતા આ પરિવારની ૧૬ વર્ષ ૧૭ દિવસની દિકરી પર બે વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશથી મજુરી અર્થે આવેલ અને હાલ માણાવદરની કામદાર સોસાયટીમાં રહેતો રાકેશ કલુ રજક નામના શખ્સે લગ્નની લાલચ આપી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.
આ પછી નરાધમ રાકેશે અન્ય સાથે લગ્ન કરી તેણે ઉત્તર પ્રદેશનો સુરજ નામના શખ્સ સાથે સગીરાનું સેટીંગ કરાવી આપેલ. અને સુરજે ભાગીને લગ્ન કરવાનું જણાવેલ.
બાદમાં રાકેશ સગીરાનું તેના ઘરેથી અપહરણ કરી ગયો હતો અને રસ્તામાં તેણી ઉપર દુષ્કર્મ આચરી સગીરાને સુરજનાં હવાલે કરી દીધી હતી.
સુરજે પણ આ સગીરા પર બળાત્કાર ગુજારી તેણીને તરછોડી દીધી હતી.
આ અંગે ભોગ બનનાર કિશોરીની માતાએ ફરીયાદ કરતાં માણાવદરનાં પીએસઆઇ પી. વી. ધોકડીયાએ રાકેશ એ સુરજ સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ સીપીઆઇ ડી. જે. ઝાલા ચલાવી રહ્યા છે.