સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

રથયાત્રાના સમગ્ર રૂટ પર ચાંપતો બંદોબસ્ત રાખવા માંગ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૯ : મુન્દ્રા તાલુકાના સાડાઉ અને પુર્વ કચ્છના કીડાણા ખાતે બનેલ કોમી અથડામણના બનાવની  આકરી ટીકા કરતા અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં જયારે કોમી એકતા અને ભાઇચારાની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં બનેલ બનાવોએ ચોકકસ તત્વો દ્વારા કોમી લાગણીઓ ઉશ્કેરવા થઇ રહેલ સાજીશ માત્ર છે.

શ્રી શે ખે જણાવ્યું હતું કે, કચ્છ એ કોમી એકતા અને ભાઇચારાનો જિલ્લો છે. ગુજરાતમાં ભૂતકાળમાં અનેક વખત કોમી વૈમનમ્યન બનાવો બનેલ છે. ત્યારે કચ્છ જિલ્લા કોમી એકતાને આંચ આવેલ નથી. રામમંદિર-બાબરી મજીસ્દનો ચુકાદો આવેલ ત્યારે પણ કચ્છમાં શાંતિ રહેવા પામેલ, પરંતુ અમુક ચોકકસ કોમવાદી તત્વોને કચ્છની કોમી એકતા અને ભાઇચારો આંખમાં કણાની જેમ ખુંચી રહી છે.

આ બનાવોમાં ખોટી ઓડીથી કલીપ બનાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કરી વાતાવરણ તંગ બનાવનાર સામે તપાસ કરી કડકમાં કડક પગલા ભરવા શ્રી શેખે આજરોજ માન.રા.ક.ના ગૃહ મંત્રીશ્રી પ્રદિપભાઇ જાડેજા, પોલીસ વડા શ્રી આશિષ ભાટીયા, કચ્છ જિલ્લાના કલેકટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીઓને રજુઆત કરી હતી. શ્રી શેખે રજુઆત કરતા જણાવ્યું હતું કે હવે પછીના રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવે.રથયાત્રા જયાંથી પસાર થાય તે મુસ્લિમ વિસ્તાર આવતો હોય તો તે રૂટનું વીડીયો રેકોર્ડીંગ કરવામાં આવે અને પોલીસ તંત્ર પણ કોઇની પણ શેહશરમ રાખ્યા વિના નિષ્પક્ષ રહી કામ કરે.

શ્રી શેખે જણાવ્યું હતું કે, સારા સમાજની સ્થાપના કરવા માટે હિન્દુ-મુસ્લિમ બંને સમાજે એકબીજાની ભાવનાઓની કદર કરવી પડશે. એકબીજાના ધર્મના આદર સાથે બંને પક્ષના અસામાજીક તત્વોને ખુલ્લા કરવા પડશે. જયાંથી રથયાત્રા પસાર થવાની છે તે વિસ્તારોમાં કોમી એકતા ભાઇચારો અને શાંતિનો માહોલ જળવાય તે માટે હિન્દુ-મુસ્લિમ સમાજે ખભેખભા મિલાવી પ્રયત્નો કરવા જોઇએ. સમાજમાં કોમી લાગણીઓ ઉશ્કેરીને શાંતિ ડહોળનાર વ્યકિતઓ સામે કડકમાં કડક હાથે કામ લેવાની માંગણી શ્રી શેખે કરી હતી.

(12:49 pm IST)