કચ્છનાં કિડાણામાં અથડામણ બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત : ૪૦ની અટકાયત
એક શ્રમજીવીનું મોત આ બબાલમાં થયુ કે અન્ય કોઇ કારણથી ? તે દિશામાં તપાસ
ભુજ,તા. ૧૯:કચ્છમાં મુંદ્રાના કિડાણા ગામમાં રામ મંદિર નિધિની રથયાત્રા પર લઘુમતીઓ દ્વારા પથ્થરમારો કરાયા બાદ ફાટી નીકળેલા કોમી દંગલ અને વાહનો સળગવાની ઘટના બાદ કિડાણાના હનુમાન મંદિર ખાતે વીએચપી, મંદિરના મહંત તેમજ હિન્દૂ સમાજના અગ્રણીઓ એકત્ર થયા હતા જેઓમાં આક્રોસ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, પોલીસે આ મામલે ૪૦ જેટલા લોકોની અટકાયત કરી હતી.
કચ્છ એસપી મયુર પાટીલે જણાવ્યું હતું કે કિરાણા ગામે બનાવ બન્યો છે તેમાં ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમામ સંવેદનશીલ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને રાઉન્ડઅપ કરવાની કામગીરી ચાલી રહી છે. ૪૦ લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.
આ ઘટનામાં પોલીસને પણ ઈજાઓ થઈ છે. ભગવાન રામ મંદિરના મંદિરનો ફાળો ઉઘરાવવા નીકળેલા લોકો એ ભગવાન રામનો સુત્રોચાર કરતા અને ડીજે વગાડતા મસ્જિદમાંથી કેટલાક લઘુમતીઓ દ્વારા પથ્થરમારો કરાતા તોફાનો ફાટી નીકળ્યા હતા જેમાં એક શ્રમજીવીનું મોત થવા સાથે પોલીસને પણ ઇજા થઇ હતી.
આ બબાલમાં એક શ્રમજીવીનું મોત થયું હતુ કે અન્ય કોઇ કારણથી ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.