ર૩ વર્ષ પુર્વે સરધાર ગામની ચકચારી
રૂ.૧૯ હજારની લાંચ પ્રકરણમાં પીઆઇ અને કોન્સ્ટેબલનો નિર્દોષ છુટકારો
રાજકોટ તા.૧૯ : રાજકોટ તાલુકા સરધાર ગામે રૂ.૧૯ હજારની લાંચ પ્રકરણમાં પીઆઇ અને કોન્સ્ટેબલ સામે કેસ ચાલી જતા અદાલતે નિર્દોષ છુટકારો ફરમાવેલ છે.
આ ચકચારી કેસની વિગત એવી છે કે ૧૯૯રની સાલમાં રાજકોટ પો.સ્ટે.માં ફરજ બજાવતા પો.ઇન્સ. વી.એલ.સોલંકી તથા સ્ટાફના પો.કો. રાજભા જાડેજા અને રાજેન્દ્રસિંહ થાપાએ ફેબ્રુઆરી ૯રમાં સરધાર મુકામે થયેલ મારામારીના કેસમાં પકડાયેલ સિધ્ધ મનોકામના હનુમાનજી મંદિરના મહંત પાસેથી મંદિરમાં રાખેલ દેશી બોમ્બ, રીવોલ્વર તથા નારકોટીક સબસ્ટન્સના જથ્થા સાથે પકડેલ અને તેની સામે વિવિધ ગુન્હાની ફરિયાદ નોંધેલ.
આ ગુન્હાનું બીઝીટેશન તે વખતના ઇન્ચાર્જ એસપી એસ.ડી.ત્રિવેદીએ કરેલ તેમાં તેમને એવી ગેરરીતિ જણાવેલ કે આ કામમાં પો.ઇન્સ. સોલંકી તથા રાજભા જાડેજા તથા રાજેન્દ્રસિંહ થાપાએ એકબીજાને મદદગારી કરી મોહનદાસ બાવાજીએ એક રીવોલ્વર ત્થા પાંચ કારતુસ સરધારના સરપંચ મહેન્દ્રસિંહને વેચેલ તે હકીકત છુપાવી સરપંચ મારફત તેના ભાઇના ઘરેથી રીવોલ્વર-કારતુસ મેળવી તે રીવોલ્વર તથા પાંચ કારતુસ બાવાજીએ મંદિરથી ર૦૦-રપ૦ ફુટ દુર ખાડામાંથી કાઢી આપ્યાનું ખોટુ પંચનામુ કરી કેસમાં ફીટ નહી કરવાનુ કહી સરપંચ તથા બીજા ત્રણ સરધાર ગામના નાગરીક પાસેથી રૂ.૬૦૦૦+૬૦૦૦+ ૬૦૦૦+ ૧૦૦૦ મળી ૧૯ હજાર લાંચ પેટે મેળવેલ છે.
ત્યારબાદ એસ.પી.શ્રી ત્રિવેદીએ તહો. નં.ર રાજભા જાડેજા પાસેથી મુદામાલના રૂ.૧૯૦૦૦ હજાર કબ્જે કરી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ તપાસ સીઆઇડી ક્રાઇમને સોપેલ જે ફરી પાછા ૮-૯ માસ પછી એસ.પી. પાસે આવતા તે વખતના એસ.પી. સી.એમ.મહંતે તે ફરિયાદી બની તપાસ કરી મંજુરી મેળવી ચાર્જશીટ કરેલ હતુ.
પ્રોસીકયુશને આ કામમાં કુલ રર સાક્ષી ત્થા રપ દસ્તાવેજી પુરાવા રજુ કરેલ હતા. જે કેસના એડી. સેશન્સ જ્જોની પાસે ચાલી જતા ર૩ વર્ષ બાદ કેસનો ચુકાદો આવેલ હતો. આ કામમાં તહો.નં.ર તરફે રજુઆત કરતા એડવોકેટ મહેશભાઇ ખીરાએ જણાવેલ કે પ્રોસી.ની થીયરી જોતા આ રૂ.૧૯૦૦૦ લાંચના છે તેમ સાબીત થઇ શકેલ નથી. આ બાબતે શ્રી ખીરાએ નામ. કોર્ટને હાઇકોર્ટો તથા સુપ્રિમ કોર્ટના જુદા-જુદા ચુકાદા રજુ કરી પ્રોસી.ની સ્ટોરી શંકાસ્પદ તથા ઉપજાવી કાઢેલ હોવાનું જણાવેલ હતુ. નામ. ત્રીજા એડી. સેશન્સ જ્જ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા ર૩ વર્ષની ટ્રાયલ દરમ્યાન એક આરોપી ગુજરી ગયેલ હોય આરોપી નં.૧ પો.ઇન્સ. વી.એલ.સોલંકી ત્થા પો.કો. રાજેન્દ્રસિંહ જાડેજાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો અને મુદામાલના રૂ.૧૯૦૦૦ આરોપી રાજેન્દ્રસિંહ જાડેજાને પરત સોપવા હુકમ કરેલ હતો.
આ કામમાં એડવોકેટ મહેશભાઇ ખીરા ઉપરાંત ગુજરાતના સુપ્રસિધ્ધ એડવોકેટ શ્રી એન.એસ.દફતરી રોકાયેલ હતા.