ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપનો ભગોઃ નગરસેવકોની ગેરહાજરીથી ચર્ચા
ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય અને જિલ્લા મહામંત્રી, નગરસેવક શૈલેન્દ્રસિંહ જાડેજા એ બન્ને વચ્ચેના ગ્રુપીઝમમાં ભુજનો વિકાસ ઠપ્પ, કોંગ્રેસે કર્યુ વોક આઉટ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૮: ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં આજે થયેલા ભગાએ રાજકીય ચર્ચા જગાવી છે. સવારે ૧૧/૩૦ વાગ્યે શરૂ થનાર સામાન્ય સભામાં કોઈ નગરસેવકો ન પહોંચતા અંતે કોંગ્રેસના નગરસેવકોએ વોક આઉટ કર્યું હતું. ભુજ નગરપાલિકાના વિપક્ષના દંડક કોંગ્રેસી નગરસેવક ફકીરમામદ કુંભારે આક્ષેપ કર્યો હતો કે ભાજપના આંતરિક જૂથવાદના કારણે ભુજ પાલિકાની અને ભુજ શહેરની હાલત કફોડી થઈ છે. જોકે, એક કલાક બાદ ભાજપના ૩૦ માંથી ૧૮ નગરસેવકો પહોંચતા પ્રમુખ લતાબેન સોલંકીએ સભા તો શરૂ કરી પણ વિકાસના એકેય ઠરાવો થઈ શકયા નહી. સામાન્ય સભામાં ચીફ ઓફિસર નીતિન બોડાત સામે ઠપકાનો ઠરાવ ચર્ચાનું કારણ બન્યો છે. ભુજ નગરપાલિકામાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યના જૂથ પાસે હોદ્દાઓ હોઈ સામે પક્ષે જિલ્લા મહામંત્રી અને નગરસેવક શૈલેન્દ્રસિંહ જાડેજાનું જૂથ વિરોધમાં હોઈ ભુજ પાલિકાના વહીવટને તેમ જ ભુજ શહેરના વિકાસને અસર પહોંચી રહી છે.