સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

ખંભાળીયાના ભરાણા ગામમાં જયેશગર મેઘનાથીની હત્યા : બ્રિજરાજસિંહ જાડેજા સામે ગુન્હો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૮ : તાલુકાના ભરાણા ગામે રહેતા એક બાવાજી યુવાનને આ જ ગામના એક ક્ષત્રિય યુવાને લોખંડના પાઇપ ઝીંકીને કરપીણ હત્યા નિપજાવી હોવાની બનાવ જાહેર થયો છે.

આ ચકચારી બનાવની પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ ખંભાળીયા તાલુકાના વાડીનાર નજીકના ભરાણા ગામે રહેતા જયેશગર નથુગર મેઘનાથી નામના ૩૬ વર્ષના બાવાજી યુવાન હાલ ભરાણા ગામે તેમના માતા ગૌરીબેન સાથે રહેતા હતાં. તેમના ધર્મપત્ની પ્રીતિબેન થકી તેઓને બે પુત્રો રીતેશગીરી (ઉ.વ.૮) અને શૌર્ય (ઉ.વ.૪) છે. પ્રીતિબેનને કોઇ બાબતે પતિ જયેશગર સાથે અણબનાવ હોવાથી હાલ તેણી તેના પિતાના ઘરે હડીયાણા મુકામે છેલ્લા છએક માસથી રીસામણે બેઠી છે.

આ દરમ્યાન ગઇકાલે બુધવારે બપોરના સમયે જયેશગર મેઘનાથી તથા ભરાણા ગામનો બ્રિજરાજસિંહ મંગળસિંહ જાડેજા અને હીટાચી મશીનના ચાલક મૂળ પંજાબના અને હાલ ભરાણા ગામે રહેતા જશવિંદરસીંગ કલવંતસિંગ જાટ નામના ત્રણ યુવાનોએ સાથે જમ્યા બાદ જયેશગર હિટાચી મશીનના છાંયે સુઇ ગયો હતો. પાછળથી કોઇ કારણોસર બોલાચાલી કે મનદુઃખના અનુસંધાને બ્રિજરાજસિંહ મંગળસિંહ જાડેજાએ જયેશગરને લોખંડના પાઇપ આડેધડ ઝીંકી દેતા તેનું લોહી-લોહાણ હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર થયું હતું.

હત્યાના બનાવ દરમ્યાન પાણી ભરવા ગયેલા હીટાચી મશીનના ચાલક જશવીંદરસીંગ પંજાબીના ધ્યાને આ હત્યાનો બનાવ આવ્યા બાદ આરોપી બ્રિજરાજસિંહે જશવિંદરને આ બનાવની કોઇને જાણ ન કરવાનું કહી ધમકી આપીને નાશી ગયો હતો.

આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઇ દ્વારકા ખાતે રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગનું કામ કરતા હસમુખગર નથુગર મેઘનાથી (ઉ.વ.૩૮)એ બ્રિજરાજસિંહ મંગળસિંહ જાડેજા (રહે. ભરાણા) સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરીયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦ર તથા જી.પી. એકટ મુજબ ગુનો નોંધી જરૂરી તપાસ હાથ ધરી છે.

મૃતક જયેશગર મેઘનાથી ઉપર ચારિત્ર્યની શંકાના આધારે જીવલેણ હુમલો કરાયા બાદ તેની હત્યા નિપજાવવામાં આવી હોવાનું પોલીસ ફરીયાદમાં જાહેર થયું છે. હત્યાના આ બનાવે વાડીનાર તથા ભરાણા પંથકમાં ભારે ચકચાર જગાવી છે. આ સાથે પોલીસે પણ વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. (૮.૧ર)

(4:00 pm IST)