વંથલી પાસે 'હિટ એન્ડ રન': નાના કાજલીયાળાના શાંતિલાલ કોળીનું મોત
જુનાગઢથી વતન કાજલીયાળા ગામે પત્નિ-પુત્રીને બાઇકમાં બેસાડી નિવેદ કરવા જતા'તાઃ કારની ઠોકરે ચડી ગયા
રાજકોટ તા. ૧૮: વંથલીના વડાલા ફાટક પાસે હિટ એન્ડ રનની ઘટનામાં નાના કાજલીયાળા ગામના કોળી આધેડનું મોત નિપજ્યું છે. જુનાગઢથી તેઓ પત્નિ, પુત્રીને બાઇકમાં બેસાડી વતન કાજલીયાળા નિવેદ કરવા જતાં હતાં ત્યારે કાર ચાલક બાઇકને ઉલાળીને ભાગી ગયો હતો. કોળી આધેડે રાજકોટમાં દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ નાના કાજલીયાળાના વતની શાંતિલાલ નાથાભાઇ મકવાણા (કોળી) (ઉ.૪૫)એ જુનાગઢ પાસે વાડી ભાગમાં વાવવા રાખી હોઇ કેટલાક મહિનાથી ત્યાં જ રહેતાં હતાં. ગઇકાલે આઠમ નિમીતે વતન કાજલીયાળા ગામે મઢે નિવેદ હોઇ તે તેના પત્નિ મંજુબેન અને પુત્રી આરતી (ઉ.૧૪)ને બાઇકમાં બેસાડી ગઇકાલે સવારે જુનાગઢથી કાજલીયાળા જવા નીકળ્યા હતાં. ત્યારે વંથલીના વડાલા ફાટક પાસે એક કારની ઠોકરે બાઇક ચડી જતાં ત્રણેય ફંગોળાઇ ગયા હતાં.
જેમાં શાંતિલાલને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં છ પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી જુનાગઢ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)