પતરી વિધિમાં 'મા આશાપુરા'ના આશિર્વાદ માળતા જય ઘોષ
ભુજ તા. ૧૮ : માતાના મઢ મધ્યે કચ્છની રાજવી પરંપરા મુજબ નવરાત્રિ ની પતરી (આર્શીવાદ) ની વિધિ જાડેજા ભાયાત પરિવારો ની ઉપસ્થિતમા યોજાઈ હતી. રાજવી પરંપરા અનુસાર ભુજ ના રાજમહેલ થી ચામર સવારી સાથે રાજવી પરિવારના સભ્યો માતાના મઢ પહોંચે છે. વિવિધ ગામો માં ગ્રામજનો અને રાજપૂત ભાયાતો દ્વારા ચામર સવારી નું સ્વાગત કરાય છે.
આઠમના સવારે માતાના મઢના ચાચરા કુંડથી ચામર સવારી મંદિરે જવા પ્રસ્થાન કરે છે. આ વખતે રાજવી પ્રાગમલજી ત્રીજા ના આર્શીવાદ થી ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા ચામર સવારી સાથે પતરી વિધિ દ્વારા માતાજી ના આર્શીવાદ લેવા મા આશાપુરાના મંદિરે પહોંચ્યા હતા. અહીં ગાદીપતિ યોગેન્દ્રસિંહ રાજબાવાએ આરતી વિધિ સંપન્ન કરી હતી.
કચ્છના ક્ષત્રિય ભાયાતો ની ઉપસ્થિતિ વચ્ચે માતાજીના ભુવા દ્વારા ડાક વગાડાઈ હતી અને માતાજીની મૂર્તિ ઉપર લગાવાયેલ પતરી ના ફૂલ ઇન્દ્રજીતસિંહ જાડેજાની ઝોળીમાં પડ્યા હતા. આમ પતરી વિધિ સાથે મા આશાપુરાના આર્શીવાદ મળતા જ સમગ્ર મંદિર નું પરિસર મા આશાપુરાના જયઘોષ સાથે ગાજી ઉઠ્યું હતું.(૨૧.૧૪)