'ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકારે ચૂલે રાંધતી માતા-બહેનોના આંસુ લૂછવાનું ભગીરથ કાર્ય કર્યું છે
અમરેલી,તા.૧૮ : દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન - નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા જેવા વિવિધ વિભાગોના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રી પટેલએ જણાવ્યું હતું કે અગાઉ આપણી માતા બહેનોને ચુલાના ધુમાડાથી આરોગ્ય ઉપર માઠી અસર થતા તેઓને આ સમસ્યામાંથી ઉગારી લેવા ઉજ્જવલા યોજના શરૂ કરી આંસુ લૂછવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. આજે ઉજ્જ્વલા યોજના ૨.૦ બીજા ફેઝની શરૂઆત થતા જિલ્લાની વધુમાં વધુ બહેનોને આ યોજનામાં આવરી લઇ તેઓના સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવશે.
વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા મંત્રીએ જણાવ્યું હતું કે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક દેશવાસીઓ અને ખાસ કરીને છેવાડાના ગરીબ માનવીની ચિંતા કરી લોકોના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. જેનાથી શહેરોથી લઇ અંતરીયાળ ગામડામાં રહેતા લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી બાળકોને હુકમોનું અને પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના ૨.૦ ના લાભાર્થીઓને ગેસના ચૂલા, રેગ્યુલેટર, પાઇપ સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અમદાવાદ ખાતેના કાર્યક્રમનું લાઈવ -સારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉજ્જવલા ૨.૦ ફિલ્મ અને એસબીએમની ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુ મનીષાબેન રામાણી, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ, પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી બાળકો અને ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.