મોરબીમાં આધારકાર્ડ-રેશનકાર્ડ કઢાવવા લોકોને ભારે હેરાનગતિની રાવ : કોંગ્રેસ અગ્રણીએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૮: મોરબી શહેરમાં મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફીસ સહિતના સ્થળે આધારકાર્ડ અને રેશનકાર્ડ કાઢવાની કામગીરી થતી હોય જયાં લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાનું જણાવી યોગ્ય પગલા ભરવા કલેકટરને રજૂઆત કરાઈ છે.
કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે લોકોને આધારકાર્ડ અને રેશનકાર્ડ કાઢવા મામલે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અધિકારીઓ યોગ્ય માર્ગદર્શન આપતા નથી અને ઉદ્ઘત વર્તન કરે છે કોમ્પ્યુટરમાં સર્વર ડાઉન છે અને અસરકારક કામગીરી થતી નથી તેવું અધિકારી કહે છે તો આ જ બિલ્ડીંગમાં અન્ય કચેરીમાં યોગ્ય કામગીરી થાય છે ત્યાં સર્વરનો પ્રશ્ન નથી ફકત અહિયાં જ સર્વર ડાઉન હોય છે ? રેશનકાર્ડ કામગીરી બંધ છે તેવા બોર્ડ મારી દે છે કેટલી તારીખથી કેટલી તારીખ સુધી બંધ છે તે પણ જણાવતા નથી જેથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.