હોસ્પીટલ તંત્રએ સ્વીકાર્યુ કે અમારી બેદરકારી છેઃ પરિવારજનોમાં ભારે આક્રોશ
તસ્વીરમાં મૃતક બટુકભાઇના પરિવારજનો રાજકોટ હોસ્પીટલ ખાતે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૧૮: ગોંડલના બટુકભાઇ પોપટભાઇ કંડોલીયાનું અકસ્માતમાં મૃત્યુ થયા બાદ તેમના મૃતદેહને ગોંડલથી પરત રાજકોટ સિવિલ હોસ્પીટલે લાવવાની સુચના મળતા ખળભળાટ મચી ગયો છે.
આ અંગે મૃતક બટુકભાઇ કંડોલીયાના પરિવારજનોએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા અકસ્માતમાં ઇજા થતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આજે વહેલી સવારે પાંચ વાગ્યે તેમના મૃતદેહને અમને સોંપ્યો હતો અને અંતિમવિધિની તૈયારી ગોંડલમાં થઇ રહી હતી ત્યાં જ ફોન આવ્યો હતો કે બટુકભાઇનું પોસ્ટમોર્ટમ કરવુ પડશે.
જેથી ફરીવાર રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે અમારે મૃતદેહને લઇને જવુ પડયું છે. આ અંગે હોસ્પીટલ સતાવાળાઓને પુછતા તેમણે જણાવ્યું હતું કે અમારી બેદરકારી હોઇ શકે. તેના કારણે પોસ્ટમોર્ટમ વગર મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે.