સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th September 2019

કચ્છમાં માલગાડી હડફેટે ૧૩ ગાયના મોત

૩ ઇજાગ્રસ્ત ગૌમાતા ભચાઉ પાંજરાપોળમાં સારવારમાં

ભુજ, તા.૧૮:  ભચાઉના લાકડીયા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર પસાર થતી માલગાડીની હડફેટે આવી જતાં ૧૩ ગાયોના મોત નિપજયા હતા. જયારે ૩ ગાયો ઇજાગ્રસ્ત થઈ હતી. ગઈકાલે સાંજે બનેલા આ બનાવને પગલે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી છવાઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત ૩ ગાયોને કનકસુરી અહિંસાધામની એમ્બ્યુલન્સ દ્વારા ભચાઉ પાંજરાપોળ માં ખેસડીને તેમને સારવાર સાથે આશરો અપાયો છે. જયાં તેમની સારવાર ચાલી રહી છે. આ ગાયો આમ તો પાલતું હતી પણ તેઓને રાત્રે ચરવા માટે છુટી છોડી દેવાઈ હતી. દરમ્યાન આ અકસ્માતની જાણ થતાં ભચાઉના જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. જોકે, રેલવે તંત્ર દ્વારા અકસ્માત બાદ કોઈ પણ સહયોગ આપવાને બદલે ઉપેક્ષિત વર્તન કરાયું હતું. અખિલ ભારતીય નવયુગ સંસ્થાના ગૌભકતોએ જેસીબીની વ્યવસ્થા કરી ૧૩ ગૌમાતાને પાટા ઉપરથી ખસેડીને સમાધિ આપી હતી.

માત્ર દૂધ દોહીને છૂટી છોડી દેતાં સ્વાર્થી પશુપાલકોના કારણે શહેરો અને ગામડામાં લોકો હેરાન પરેશાન

લાકડીયા ગામ પાસે એક સાથે ૧૩ ગૌમાતા રેલવે ટ્રેક ઉપર માલગાડી કપાઈને જવાના બનાવથી સૌ કોઈને અરેરાટી થાય જ. પણ, આ બનાવે ફરી એકવાર એ ચર્ચા જગાવી છે, કે માલધારીઓ દૂધ દોહીને પોતાની ગાયોને છૂટી છોડી દેવાનું વલણ આદ્યાતજનક છે. કચ્છના ગાંધીધામ, ભુજ, અંજાર, ભચાઉ, નખત્રાણા જેવા શહેરોમાં રખડતાં ઢોરો લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે. ભુજમાં તો રખડતાં ઢોર જેવા પકડાય તેવા જ તેના માલિકો આવી જાય અને ઢોરને છોડાવી જાય. હવે, રખડતાં ઢોરની આ જ પરિસ્થિતિ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધતી જાય છે. જે ચિંતાજનક છે. ખરેખર તો જાહેરમાર્ગો ઉપર રખડતાં ઢોરની સમસ્યાને ટ્રાફિક ભંગમાં ગણીને આવા ઢોર માલિકો પાસેથી આકરો દંડ વસુલ કરવો જોઈએ. ગૌમાતા પ્રત્યેની આપણી આસ્થા અને શ્રદ્ઘા ખરેખર વ્યવહારમાં દેખાવી જોઈએ. શા માટે ભેંસોને રસ્તાઓ ઉપર છૂટી છોડવામાં નથી આવતી અને ગૌમાતાને રખડતી છોડી દેવાય છે? આ કડવી વાસ્તવિકતા એ વિચારવા મજબૂર કરે છે કે, માણસ જેવું સ્વાર્થી કોઈ નથી.

(10:30 am IST)