જૂનાગઢ જિલ્લામાં ૨૪ કલાકમાં આઠ વ્યકિતના અપમૃત્યુ
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૮ : જૂનાગઢ જિલ્લામાં કાળચક્ર ફરી વળતા ૨૪ કલાકમાં આઠ વ્યકિતના અપમૃત્યુ થયા હતા.
જેમાં માંગરોળમાં જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા અમિનાબેન વસીમભાઇ મલીક (ઉવ.૩૬) નામની મહિલાએ માનસિક બિમારીથી કંટાળીને ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
માળીયાહાટીના તાલુકાના કડાયા ગામનાં કવિબેન ભીમાભાઇ બીઢોળ (ઉવ.૪૫)એ આંખની બિમારીથી કંટાળીને અગ્નિ સ્નાન કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.
માણાવદરના રઘુવીરપરામાં રહેતા જયેશભાઇ રામદેવભાઇ દાસા (ઉવ.૪૫)એ માનસિક બિમારીને કારણે ઇલેકટ્રીક પંખા સાથે લટકીને મોતને મીઠુ કરી લેતા ગમગીની પ્રસરી ગઇ હતી.
માણાવદર તાલુકાના નાતડીયા ગામનાં કાજલબેન રાજેશભાઇ ભાથાણી (ઉવ.૩૭) નામની મહિલાનું હાર્ટએટેકથી મૃત્યુ થયુ હતું.
કેશોદના અશોકનગરમાં રહેતા પ્રવિણભાઇ અરજણભાઇ રૂપાવટીયા (ઉવ.૫૮) નામના વૃધ્ધનું મકાનના બીજા માળની છત પરથી પડી જવાથી મૃત્યુ નિપજ્યુ હતું.
જ્યારે કેશોદ તાલુકાના ડેરવાણા ગામનો લખમણભાઇ દેશાભાઇ ધુલા (ઉવ.૪૫)નું વાડીએ ઇલેકટ્રીક કરંટ લાગતા મૃત્યુ થયુ હતું.
તેમજ વિસાવદરના શીરવાણીના ગામના ચંપાબેન ચંદુભાઇ રફાળીયા (ઉવ.૫૫)નું ઝેરી દવા પીવાથી મૃત્યુ થયુ હતું. ઉપરાંત જૂનાગઢના જોશીપરાના ભાવિનભાઇ કાંતિભાઇ ગજેરા (ઉવ.૩૦)નું એ ગળાફાંસો ખાતા અરેરાટી વ્યાપી ગઇ હતી.