પોરબંદર જિલ્લામાં કોઝવે ઉપર વહેતા પાણીમાંથી પસાર થવાનું ખોટું સાહસ નહીં કરવા કલેકટરની અપીલ
પોરબંદર તા. ૧૮ : જિલ્લામાં પાણી વહેતું હોય ત્યારે કોઝવે પર પસાર થવાનું દુઃસાહસ ન કરવા જિલ્લા કલેકટર અશોક શર્માએ લોકોને અપીલ કરી છે.
કલેક્ટર શ્રી અશોક શર્મા એ જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે ઉપર વાસના વરસાદને કારણે જયાં વધારે પાણી વહેતું હોય એવા જોખમી કોઝવે તાત્કાલિક બંધ કરાવવા, જરૂર પડે પોલીસની મદદ લઈ બંદોબસ્ત ગોઠવવા સૂચના અપાઇ છે. વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે પાણી વહેતું હોય ત્યારે રસ્તો ઓળંગવાનું સાહસ ન કરવું. સ્થાનિક વિસ્તારમાં વરસાદ ન હોય અને ઉપરવાસમાં વરસાદ હોય તો અચાનક પાણી વધી જવાની પણ સંભાવના રહેતી હોય ગ્રામ્ય વિસ્તારના લોકોને ખાસ કરીને વાહન લઈને પસાર થતા લોકોએ પાણીમાંથી પસાર થવાનું સાહસ નહીં કરવા અપીલ કરવામાં આવી છે.
ઉપર વાસમાંથી પાણી બંધ થાય પછી બંધ રસ્તાઓ શરૂ કરવામાં આવશે. જાનહાનિ ન થાય તે માટે બંધ કરાયેલા રસ્તામાં લોકોને પસાર ન થવા તંત્ર દ્વારા જણાવાયું છે.