કથાકાર વાચક નહિ, પાચક હોવો જોઇએઃ પૂ. મોરારીબાપુ
મહુવા કૈલાશ ગુરૂકુળ ખાતે તુલસી જન્મોત્સવની ઉજવણી સાથે સન્માન સમારોહ સંપન્ન
મહુવા કૈલાશ ગુરૂકુળ ખાતે આયોજીત તુલસી જન્મોત્સવ અને સન્માન સમારોહની વિવિધ તસ્વીરોમાં પૂ. મોરારીબાપુ મનનીય પ્રવચન કરતા તેમજ મંચ ઉપર સન્માન કરવા તથા તુલસી જન્મોત્સવ સાથે સંગીતની સુરાવલીઓ છેડતા કલાકારો નજરે પડે છે. (તસ્વીર : હરેશ જોષી કુંઢેલી)
કુંઢેલી તા. ૧૮ :.. કૈલાસ ગુરૂકુળ મહુવા ખાતે તુલસી જન્મોત્સવ અને સન્માન સમારોહ પ્રસંગે શ્રી મોરારીબાપુ કથાકાર વાચક નહિ, પાચક હોવો જોઇએ તેવો સંદેશ આપ્યો હતો.
ઉત્તર ભારત ક્ષેત્રના લગભગ એકસો જેટલા કથાકાર પ્રવચનકારોની ઉપસ્થિતીમાં કૈલાસ ગુરૂકુળ મહુવા ખાતે તુલસી સાહિત્ય સંગોષ્ઠિ અને તુલસી જન્મોત્સવ યોજાઇ ગયેલ.
તુલસી જન્મોત્સવ અને સન્માન સમારોહ પ્રસંગે શ્રી મોરારીબાપુએ પોતાના દાદા ત્રિભુવનદાસ પાસેથી તુલસી માનસ સાથે તુલસી વિશે મેળવેલા જ્ઞાન શીખ અંગેની વાત કરી તુલસીના ૧૬ અર્થો થાય છે. તેમ જણાવી કથાકાર વાચક નહિ, પાચક હોવો જોઇએ તેમ સંદેશ આપ્યો. તેમણે યુવાન સ્ફૂર્તિલા કથાકારોને બિરદાવ્યા. વિશ્વ કથાકારોનું ઋણ ચુકવી શકશે નહિ તેમ કહ્યું. અહીં સન્માન સ્વીકારનારા વિદ્યાનો પ્રત્યે અહોભાવ વ્યકત કર્યો હતો.
અહીં વાલ્મીકી પદક શ્રી પુન્ડરીક ગોસ્વામી મહારાજ (વૃંદાવન), વ્યાસ પદક શ્રી રમેશભાઇ ઓઝા 'ભાઇશ્રી' વતી પ્રતિનિધિઓ ભાઇશંકરભાઇ ઓઝા ત્થા હાર્દિકભાઇ જોષી, તુલસી પદક સ્વામી દિવ્યાનંદતીર્થ મહારાજ (ભાનપુરા) વતી શ્રી આચાર્ય જગદીશજી, સ્વામી પ્રણવાનંદજી સરસ્વતીજી મહારાજ (વૃંદાવન). તથા શ્રીમતી જ્ઞાનવતી અવસ્થી (સેવા-મધ્યપ્રદેશ) ને મોરારીબાપુ અને અહીં જોડાયેલ વકતા મહાનુભાવોના હસ્તે એનાયત થયેલ.
શ્રી હરિશચંદ્ર જોષીનાં સંચાલન તળે પ્રારંભે શ્રી મોરારીબાપુ સહિત સૌએ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપેઇને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
સમારોહ પ્રારંભે કુમારી ગાર્ગી વોરા તથા સંગીતકારો દ્વારા માનસ અને વિકાસ પત્રીકા ગાન કર્યુ હતું. (પ-પ)