પાટણના માનપુર ગામ પાસે ટ્રેન નીચે ઝંપલાવી પ્રેમી પંખીડાનો આપઘાત
પાટણ તા.૧૮: પાટણ જિલ્લાના સાંતલપુર નજીકના માનપુર ગામના પાટીયા પાસે ધસમસતી રેલ્વે પસાર થઇ રહી હતી ત્યારે એક યુવાન અને એક સ્ત્રીએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી હતી. યુવકનું માથું ધડથી અલગ થઇ જવા પામ્યું હતું. બન્ને પ્રેમી પંખીડાનું ઘટના સ્થળે જ મૃત્યુ થવા પામ્યું હતું. વહેલી સવારે બનેલા આ કમકમાટીભર્યા બનાવની જાણ થતાં પોલીસને જાણ કરાઇ હતી.
મૃતક સાંતલપુર તાલુકાનાં ઝંડાળા ગામનો રમેશભાઇ માધાભાઇ રાવળ ઉ.૨૨ હોવાનું અને અપરણીત હોવાનું જાણવા મળ્યું હતું.
જયારે મહિલા ભાભર પાસેના સુઇ ગામની ભીખીબેન વિરમભાઇ રાવલ ઉ.૩૫ હોવાનું પરણીત અને ચાર સંતાનોની માતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મૃતકના પિતાને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.
બંન્ને મૃતદેહોને વારાહી સીએચસી ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ. જેની તપાસ વારાહી પી.એસ.આઇ ચોૈધરીના માર્ગદર્શન હેઠળ જમાદાર પરબતભાઇ ચલાવી રહયા છે. ચાર સંતાનોની માતાએ પ્રેમી સાથે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.