માંગરોળ-માંડવીને મળશે ઉકાઇમાંથી સિંચાઇ યોજનાનો લાભ : છ મહિનામાં ખેતરોમાં પાણી પહોંચશે :વનમંત્રીની જાહેરાત
કેવડી તથા માંગરોળના વાંકલ ખાતે મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ખરીફ કૃષિ મહોત્સવ યોજાયો
સુરત: ઉમરપાડાના કેવડી તથા માંગરોળના વાંકલ ખાતે વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ખરીફ કૃષિ મહોત્સવ યોજાયો હતો.“માંગરોળ અને માંડવીને ઉકાઈમાંથી સિંચાઈ યોજનાનો લાભ મળી રહે તે માટેનું પાઈપલાઈનનું ૮૦ ટકા પૂર્ણ થઈ ચૂકયું હોવાનું જણાવી આગામી છ મહિનામાં ખેડૂતોના ખેતર સુધી પાણી પહોચશે,તેમ વનમંત્રીએ જણાવ્યું હતું.
આ વેળાએ ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, સીમિત જમીનના કારણે વધતી જતી વસ્તીની ખાદ્ય જરૂરિયાતોને પહોચી વળવા માટે ખેત ઉત્પાદન વધારવું જરૂરી છે, જેના માટે પરંપરાગત ખેતીને તિલાંજલિ આપી આધુનિક ટેકનોલોજીયુક્ત ખેતી કરીને ખેડૂતો આર્થિક ઉન્નતિના પથ પર ડગ માંડે તે સમયની માંગ છે
તેમણે વધુમાં જણાવ્યું કે, “ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ગત વર્ષે અડદ, ચણા, તુવેર જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી કરીને રૂ.૨૭૦૦ કરોડ જેવી માતબર રકમ ખેડૂતોને એનાયત કરાય છે. ખેડૂતોને રાહતદરે વિજળી મળી રહે તે માટે વર્ષ દહાડે રૂા.૬૦૦૦ કરોડ જેટલી સબસીડી રાજ્ય સરકાર ચૂકવે છે.
પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજનાની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ગુજરાતના ૪૦ લાખ ખેડૂતોને રૂ.૨૩૦૦ કરોડ જેટલી રકમ તેઓના બેંક ખાતામાં જમા કરાઈ હતી. ખેડુતોને ઝીરો ટકા વ્યાજદરે રૂ.ત્રણ લાખની લોન મળે છે,
આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન આપતા કહ્યું કે, ખેડૂતોએ પોતાના ખેતરમાં નીકળતો કચરો બાળી ન નાખતા ઊંડા ખાડામાં નાખીને વર્મી કમ્પોસ્ટ જેવું ઉત્તમ ખાતર બનાવી શકે છે. ડાંગરમાં ઊંચી કિંમતની હાઈબ્રીડ બિયારણની સરખામણીમાં નવસારી કૃષિ યુનિ. દ્વારા વધુ ઉત્પાદન આપતી સુધારેલી જાતોને અપનાવવાનો અનુરોધ કર્યો હતો