ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અમરેલીની શુભેચ્છા મુલાકાતેઃ કોંગ્રેસ અગ્રણીઓ સાથે કરી મહત્વની ચર્ચા
(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૮: અમરેલી ખાતે પધારેલા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જિલ્લા કોગ્રેસના અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓની સાથે થયેલ શુભેચ્છા મુલાકાતમાં સુખરામ રાઠવા એ જણાવેલ હતું કે વર્તમાન ભાજપ સરકારની નીતિ-રિતીથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. અને દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે અને મોંઘવારીની વિરોધમાં લોકોના હિતાર્થ જોરદાર વિરોધ કરી શાસકોની નીંદ ઉડાડવા આહવાન કરવામાં આવેલ હતુ.
આ શુભેચ્છા મુલાકાતમાં પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરશીભાઈ મેતલીયા કે કે વાળા, નારણભાઈ મકવાણા, નરેશ અધ્યારૂ વિગેરે જિલ્લા કોંગ્રેસના અગ્રણી હાજર રહ્યા હતા.