ભાવનગરના મુસ્લિમ યુવકની કુહાડીના ઘા ઝીંકી હત્યા
ધોલેરા નજીક ભડીયાદ ઉર્ષ શરીફમાંથી પરત ફરતી વખતે બનાવ : ૩ શખ્સો નાશી છૂટયા
ભાવનગર તા. ૧૮ : ધોલેરા નજીકના ભડીયાદ ઉર્ષ શરીફમાંથી પરત ફરી રહેલા ભાવનગરના યુવાનની કુહાડીના ઘા ઝીંકી મૂડીના પાટીયા નજીક કરપીણ હત્યા કરી ઇન્ડીકાના શખ્સો પલાયન થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
ભડીયાદ ખાતે ઉર્ષ શરીફની ઉજવણી બાદ ભાવનગર પરત ફરી રહેલા કુંભારવાડ મોતી તળાવ વિસ્તારમાં રહેતા ઇમરાન મહેબુબમિયા સૈયદ નામના યુવાનની બાઇકનો પીછો કરી રહેલા ઇન્ડીકા ચાલકે ધોલેરા નજીક મૂડી ગામના પાટીયા પાસે બાઇકને ટલ્લો મારી બાઇક પર સવાર ત્રણેય શખ્સોને પછાડી દઇ ઇન્ડીકામાંથી હથિયારો સાથે શખ્સો નીચે ઉતરતા બાઇક સવાર પૈકી બે શખ્સો નાસી ગયા હતા. જ્યારે કુંભારવાડા મોતી તળાવમાં રહેતા અને ઓઇલનો ધંધો કરતા ઇમરાન મહેબુબ મિંયા સૈયદ નામના યુવાન વેપારીને માથા તથા ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી ઇન્ડીકા કાર છોડી પલાયન થઇ ગયા હતા.
આ બનાવથી સમગ્ર હાઇવે પર ચકચાર મચી જવા પામી હતી અને ટ્રાફિકજામ થઇ જવા પામેલ બનાવ અંગે પોલીસને જાણ થતા તુરંત જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કેસ કાગળો તૈયાર કરી લાશને પી.એમ. અર્થે ખસેડી હતી અને હત્યારાઓને ઝડપી લેવા કવાયત હાથ ધરેલ. બનાવ અંગે ચર્ચાઇ રહ્યા મુજબ યુવાનની હત્યા જુની અદાવતને કારણે થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જ્યારે બીજી એક ચર્ચા મુજબ ક્ષત્રિય શખ્સોએ હત્યા કરી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ બનાવ અંગે ભાવનગર મુસ્લિમ સમાજમાં દોડધામ મચી જવા પામી છે.