હળવદમાં માજીમંત્રીએ સોશ્યલ ડીસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો : કાર્યવાહી થશે ?
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૮ : તાજેતરમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ તરીકે વરણી થયા બાદ માજી મંત્રી જયંતીભાઈ કવાડિયાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોશ્યલ ડીસટન્સ અને માસ્કના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થયો હોય ત્યારે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો ઉઠાવ્યા છે. મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ જીલ્લા એસપીને રજૂઆત કરી જણાવ્યું છે કે ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ અને માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા દ્વારા પ્રોસેસનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સોશ્યલ ડીસટન્સ અને માસ્ક પહેરવાના નિયમનો ભંગ જોવા મળે છે કાર્યક્રમમાં પોલીસ અધિકારી બંદોબસ્તમાં હતા છતાં કાયદાનો અમલ કરાવેલ નહિ.
સામાન્ય નાગરિકો માસ્ક વિના જોવા મળે તો પોલીસ તંત્ર દંડ ફટકારે છે વાહન, રીક્ષામાં સરકારે નિયત કરેલ મુસાફર બેસી સકે વધુ હોય તો દંડ કરાય છે ત્યારે શું ભાજપ કાર્યકરો કે આગેવાનોને કાયદો લાગુ પડતો નથી ? સામાન્ય નાગરિકોને શા માટે પરેશાન કરાય છે ? તેવા સવાલો કર્યા છે અને જીલ્લા એસપીને કાયદાનો કડક અમલ કરાવવાની સંપૂર્ણ જવાબદારી હોય જેથી ધોરણસર પગલા લેવા માંગ કરી છે સાથે જ સ્થાનિક પોલીસના આંખ મીચામણા સામે પણ ખાતાકીય તપાસ કરી પગલા લેવાય તે જરૂરી છે.