સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th January 2021

ખંભાળીયાના સોનારડી પાસે અકસ્માતમાં ૩નાં મોત

ભાટીયા અને અમદાવાદના પરિવારની કારને અકસ્માત નડયોઃ ૬ને ઇજા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮ :.. ખંભાળીયા - દ્વારકા હાઇવે  દ્વારકાથી ખંભળીયા  તરફ સોનારડીની નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજતા અરેરટી વ્યાપી ગઇ છે.

ખંભાળીયા દ્વારકા રોડ પર આજે સવારે છએક વાગ્યે ભાટીયાથી જામનગર જતી કાર તથા અમદાવાદથી દ્વારકા જતી કાર સામસામી અથડાતા તેમાં ત્રણના મોત નિપજયા હતા તથા છ ઇજાગ્રસ્ત થયા હતા વહેલી સવારે ધડાકા સાથે આ બનાવ બનતા હાઇવે પર ઘાયલોની મૃતકોની ચીસો ગૂંજી ઉઠી હતી.

બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાના સંદીપભાઇ ગોમીયા ઉ.ર૪ વાળા સહિતના લોકો જી. જે. ૧૦ બી. આર. ૯૦૬૩ નંબરની મારૂતિકાર લઇને જતા હતા ત્યારે સોનારડી ગામના પાટીયા પાસે હાઇવે પર સામેથી આવતી અમદાવાદની કાર નં. જી. જે. ર૭ ડી. બી. ૧ર૧૩ હુન્ડાઇ કાર અથડાત બન્ને કારના ભુકકા થઇ ગયા હતા તથા એક કાર ઉંધી વળી ગઇ હતી.

બનાવમાં એક મહીલા સહિત ત્રણનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા હતા તથા બનાવની જાણ થતાં ૧૦૮ ની ટીમ દ્વારા છ ઇજાગ્સ્તોને ખંભાળીયા ખસેડાયા હતા જેમાં ચારને જામનગર તથ બેને દેવભૂમિ હોસ્પિટલ ખંભાળીયામાં દાખલ કરાયા હતાં.

ભાટીયાની એક આહિર યુવતી પરીક્ષા દેવા જામનગર જતી હતી તેનું મોત નિપજયુ હતું. જયારે બે વ્યકિત અમદાવાદના હોવાનું જાણવા મળેલ છે. ત્રણેયના મૃતદેહને ખંભાળીયા સરકારી હોસ્પિટલમાં પી. એમ.  માટે લાવવામાં આવ્યા છે.

(12:09 pm IST)