ઉનામાં ૩ બંધ મકાનોને નિશાન બનાવતા તસ્કરો દાગીના અને રોકડ સહિત ૯૪ હજારની ચોરી
તસ્કરોને શોધી કાઢવા ડોગ સ્કોવર્ડ તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો દ્વારા તપાસ
(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૮ :.. શહેરમાં નિલ કમલ સોસાયટીમાં ૩ બંધ મકાને નિશાન બનાવીને તસ્કરો બે ઘરમાંથી રોકડા રૂપિયા, ચાંદી-સોનાના દાગીના મળી રૂ. ૯૪ હજાર ચોરી કરી પોલીસને પડકાર ફેંકયો છે.
હાઇસ્કુલનાં પાછળનાં ભાગમાં ગાયત્રી સ્કુલ પાસે આવેલ નીલ કમલ સોસાયટી વિસ્તારમાં રહેત યોગેશભાઇ નાગજીભાઇ સિધ્ધપરા, ત્થા બાજુમાં રહેતા કમલેશભાઇ નાથાભાઇ ટાંક સંક્રાંતનાં તહેવારમાં મકાન બંધ કરી તાળા મારી બહારગામ ગયા હતા તેઓ સવારે પરત આવતા મકાનના દરવાજાનાં તાળા તુટેલા જોવા મળેલ હતાં.
રૂમમાં અજાણ્યા શખ્સો પ્રવેશ કરી કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના ત્થા રોકડ રૂપિયા મળી કુલ રૂ. ૯૪ હજારથી વધુ રકમની ચોરી કરી નાસી ગયાની ઉના પોલીસમાં ફરીયાદ કરતા પીએસઆઇ એચ. વી. ચુડાસમા ત્થા ડી. સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તસ્કરને પકડવા ડોગ સ્કવોર્ડ ત્થા ફીંગર પ્રીન્ટ નીષ્ણાંતને બોલાવી તપાસ કરી રહ્યા છે.