કુંભારીયા ગામના યુવાનની હત્યા પ્રકરણમા બે મિત્રોની ધરપકડ
અમરેલીઃ રાજુલાના કુંભારીયા ગામે રહેતા ભીખા છના સોલંકી નામના યુવાનની લાશ સીમમાં આવેલા અનંતરાય હરીશંકર જોષીની વાડીના કુવામાંથી કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતા પોલીસ અને મૃતક ભીખાના પરિવારજનો દોડી ગયા હતા. મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક ભીખાની હત્યા માથામા બોથડ પદાર્થના ઘા ઝીંકી કરવામાં આવી હતી અને લાશને કુવામાં ફેંકી દીધી હતી.
પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક ભીખાને તેના મિત્ર પ્રવિણ ભુરા ડાબસરાની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનુ ખુલ્યુ હતુ. આથી પ્રવિણ ડાબસરાએ ભીખાની હત્યાનો પ્લાન ઘડી કાઢયો હતો. ગત તા. ૧૦ ના ભાવેશએ મિત્ર ભીખાને દારૃ પીવા માટે અનંતરાય જોષીની વાડીએ બોલાવ્યો હતો. અને બાદમાં મિત્ર ભાવેશ બારૈયાને બોલાવી બંને શખ્સોએ ભીખાને દારૃ પીવડાવ્યા બાદ પ્રવિણે ભીખાના માથામા ધોકાનો ઘા ઝીકયો હતો. લાશને કુવામાં ફેંકી દીધી હતી. ધોકો પ્લાસ્ટિકના કંતાનમા વીટી સળગાદી દઇ બનાવ સ્થળે પાણીથી ધોઇ નાખી ઘેર જતા રહ્યા હતા. પોલીસે પ્રવિણ ડાબસરા અને ભાવેશ બારૈયાને ઝડપી લીધા હતા.