સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th November 2018

આઇ.ટી.આઇ.ખંભાળીયા ખાતે જોબફેર યોજાશે

દેવભુમિ દ્વારકા, તા.૧૭: ગુજરાત રાજયમાં રોજગાર નીતિ ને ધ્યાનમાં રાખીને રોજગાર ક્ષેત્રે યુવાનોનું પ્રતિનિધિત્વ વધે તે ઝુંબેશ સ્વરૂપે જિલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા આઇ.ટી.આઇ. ખંભાળીયા ખાતે સોમવારે સવારે ૧૦ કલાકે જોબફેર શરૂ કરવામાં આવશે. આ જોબફેરમાં જુદા જુદા સર્વીસ/મેન્યુફેકચર/ટ્રેડીંગ સેકટરના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેનાર છે. તેમજ રોજગારવાંચ્છું ઉમેદવારો પોતાના પગભર થઇ શકે અને પોતાનો ધંધો-રોજગાર સ્થાપિત કરી શકે તે માટે સ્વરોજગાર શિબિરનું પણ આયોજન કરેલ છે. આ  જોબફેર-સ્વરોજગાર શિબિરમાં ધોરણ  ૧૦-૧૨ ગ્રેજયુએટ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમરમર્યાદા ૧૮ થી ૩૫ રહેશે. નોકરીદાતાઓ સ્થળ પર હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરશે. આ જોબફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઈન્ટરવ્યુંમાં ઉપસ્થિત રહી શકાશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઈન્ટરવ્યુંમાં હાજર રહેવા જણાવવામાં આવેલ છે. આ જોબફેર- સ્વરોજગાર શિબિરમાં રોજગાર કચેરી-દેવભૂમિ દ્વારકા ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકાશે. રજીસ્ટ્રેશન સ્થળ પર જ કરવામાં આવશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવામાં આવ્યું છે.

(12:30 pm IST)