મેંદરડામાં મંગળવારથી પ્રાણનાથજી મહોત્સવ-૧૦૮ પારાયણઃ તડામાર તૈયારી
રાજકોટ :. સોરઠ ભૂમિ મેંદરડા ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર, શ્રી બાઈજુ રાણી મહિલા સત્સંગ મંડળ, આયોજીત સમિતિ, દિલીપ શર્મા પુજારીજી અને જિલ્લાના ભકતો દ્વારા તા. ૨૦ થી ૨૬ નવેમ્બર સામા કાંઠે, આલીધ્રા રોડ પર દેવાણંદભાઈ સોલંકીના નિવાસ સ્થાન પાસે, શ્રી પ્રાણનાથજીના પ્રાગટયના ૪૦૦ વર્ષ નિમિતે ચતુર્થ શતાબ્દી મહોત્સવ તથા શ્રી તારતમ સાગરના ૧૦૮ પારાયણ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયેલ છે. જેની તડામાર તૈયારી ચાલી રહી છે. આ પ્રસંગે કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના વિવિધ ધર્માચાર્યો કથાનું રસપાન કરાવશે. જેમાં જામનગરના કૃષ્ણમણીજી મહારાજ, સુરતના સૂર્યનારાયણદાસજી મહારાજ, કરનાલના જગતરાજજી મહારાજ, દિલ્હીના પરીમસખીજી મહારાજ, સુરતના લક્ષ્મણજ્યોતીજી મહારાજ વગેરેનો સમાવેશ થાય છે. તા. ૨૦મીએ સવારે ૭ થી ૯ કળશયાત્રા નિકળશે. તા. ૨૦ થી ૨૫ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાણી ચર્ચા પ્રવચન થશે. તા. ૨૨મીએ સાંજે ૪ વાગ્યે કૃષ્ણ અક્ષરાતીત પ્રણામી મંદિરથી મૂલ મિલાવા સ્થળ સુધી શોભાયાત્રા રાખેલ છે. તા. ૨૪મીએ સવારે ૯ વાગ્યે મહાઆરતી અને રકતદાન શિબિર રાખેલ છે. તા. ૨૦ થી ૨૫ રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ રાજકોટના અરવિંદભાઈ સોલંકી અને કિરીટભાઈ બાબરીયા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તા. ૨૬મીએ સવારે ૧૧ વાગ્યે પૂર્ણાહુતિ થશે. મહોત્સવમાં ભાગ લેનાર લોકો માટે ચા, નાસ્તો, ભોજન વગેરે વ્યવસ્થા રાખવામાં આવેલ છે. સૌને લાભ લેવા આમંત્રણ છે. મહોત્સવ અંગે વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૨૦૩૦૭ અથવા ૯૭૨૭૧ ૬૪૭૨૦ ઉપર સંપર્ક સાધવો.