સોમવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં તુલસી વિવાહની ઉજવણી
ઠાકોરજી અને તુલસીજીના ધામધુમથી લગ્ન કરાશેઃ તડામાર તૈયારી
રાજકોટ તા. ૧૭ :.. સોમવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તુલસી વિવાહ-દેવદિવાળી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.
સોમવારે તા. ૧૯ ના રોજ ગામે - ગામ ઠાકોરજી ભગવાન અને તુલસીજીના ધામધુમથી લગ્ન કરવામાં આવશે જેની તડામાર તૈયારી થઇ રહી છે.
ભાવનગર
ભાવનગર : ભરતનગર ખાતે આવેલા શ્રી રક્ષેશ્વર મહાદેવ મહંત શ્રી રણછોડદાસબાપુના શુભ પ્રેરણાથી તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે.
મંડપ મુહૂર્ત સોમવારે સવારે ૯.૩૦ કલાકે જાનનું સામૈયું સોમવારે ૧૯-૧૧-ર૦૧૮ ના રોજ ૮.૩૦ કલાકે તેમજ હસ્ત મિલન કારતક સુદ ૧૧ ને સોમવાર તા. ૧૯-૧૧-ર૦૧૮ ના રોજ રાત્રે ૯ કલાકે તેમજ વરયાત્રા ૧૧ સોમવાર ૧૯-૧૧-૧૮ ના રોજ સાંજના ૬.૩૦ કલાકે ડી. જે. સાઉન્ડના સથવારે નાચતા-ગાતા મોજ મજાથી ફટાકડાની ભવ્ય આતશબાજી સાથે શ્રી રક્ષેશ્વર મહાદેવનાં મંદિરેથી નીકળી ભરતનગરના રાજમાર્ગો પરથી પસાર થઇ ૧ર નંબરના બસ સ્ટોપથી લગ્ન સ્થળ ભાગ્યોદય સોસાયટી શ્રી ભરતેશ્વર મહાદેવના પટાંગણમાં પહોંચશે. ભગવાના વરઘોડામાં સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રી તથા કોર્પોરેટર શ્રી તથા શહેર પ્રમુખ તેમજ મહામંત્રીશ્રી તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમજ ભગવાનની જાન લગ્ન સ્થળે પહોંચશે. જયાં કન્યા પક્ષ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
ભાવનગરની તમામ ધર્મપ્રેમી જનતાને આ અનેરા વિવાહમાં પધારવા શ્રી મારૂતી ગ્રુપનું હૃદય પુર્વક હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.