ઉનાના વૈદ્ય પાંચાભાઇ દમણિયા દ્વારા ધણેજમાં ધનવન્તરી મંદિરનું નિર્માણ
ઉના, તા. ૧૭ : ખ્યાતિ પ્રાપ્ત વૈદ્ય પાંચાભાઇ દમણિયાએ ધનતેરસે ધણેજમાં આરોગ્યના દેવ ધનવંતરીની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આપ્રસંગે રાજયભરના વૈદ્ય અને ભાવિક ભકતજનોની ઉપસ્થિતિ રહી હતી.
ઉનાના વૈદ્ય પાંચાભાઇ ગુજરાતભરમાં પોતાના આયુર્વેદકીય જ્ઞાન માટે જાણીતા છે. તેમને આરોગ્યના દેવ ધનવંતરી ઉપર અનેરી શ્રદ્ધા છે. તેમના અંગત ઉપાસના ખંડમાં ધનવંતરી દેવ બીરાજમાન છે. તેમણે જાણ્યું કે ધણેજ મુકામે ધનવંતરીનું પુરાણુ મંદિર સંજયભાઇ પીઠીયાની વાડીમાં આવેલુ છે ત્યારે ત્યાં તેમણે મંદિરનું નવનિર્માણ કરાવ્યું હતું. ધનતેરસના પાવન દિને ગુજરાતભરના વૈદ્યર્ષિઓ અને ઉનાથી ભકતજનો જોડાયા પણ આ કાર્યમાં જોડાયા હતા. સાંદિપની સંસ્કૃત વિદ્યાપીઠના ગુરૂઓ અને ઋષિકુમારો દ્વારા યજ્ઞાદિક્રિયાઓ કરાવવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત આ મંદિર જે મૂળ સંજયભાઇની વાડીમાં છે તેમના સમગ્ર પરિવારનું સન્માન કરવામાં આવેલું.
કેટલાક દર્દીઓએ પણ આ ધનવંતરી યાગમાં ભાગ લઇ અને શુકુન મેળવ્યું હતું. યજ્ઞ દ્વારા સારવાર વૈદ્ય પાંચાભાઇનો સંશોધનનો વિષય રહ્યો છે માટે તે આ સમયે વિવિધ ઔષધીઓ અને ધૃતથી યજ્ઞની વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત અન્ય વૈદ્યોએ આ પ્રયોગથી સારા પરિણામો પ્રાપ્ત થાય તેવી શકયતા બતાવી છે. આયુર્વેદ અને ધનવંતરીના ઉપાસક બનીને આયુર્વેદના ગ્રંથો અનુસાર સારવાર નહીં પણ નવીનતમ પ્રયોગો દ્વારા સારવારનો પણ નવ્યપ્રયોગ પાંચાભાઇ કરતા આવ્યા છે.