સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

ભુજની જી,કે,હોસ્પિટલમાં એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવા આવેલા બે યુવાનોના મોત :તબીબની બેદરકારીનો આરોપ

 

ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં અંજારના દબડા અને ભીમાસરના બે યુવાનોનું મોત નિપજ્યું હતું. સામાન્ય એપેન્ડીક્સનું ઓપરેશન કરાવવા આવેલા યુવાનોના મોત બાદ મૃતક યુવકોના પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીના કારણે મૃત્યુ થયાનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો

  અંજાર તાલુકાના દબડા ગામે રહેતા 17 વર્ષિય પરપ્રાંતિય ગોવિંદભાઈ નામના યુવાનનું મોત નિપજ્યું હતું,જયારે  ભીમાસરમાં રહેતા ૩૦ વર્ષિય રવિન્દ્ર જેન્તીલાલ જેઠવાનું પણ મોત થયું હતું. રવિન્દ્ર જેઠવા બે દિવસ પૂર્વે એપેન્ડીક્સનું ઓપરેશન કરાવવા માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. સામાન્ય ૧પ-ર૦ મિનિટ ચાલે તે ઓપરેશન કલાકો સુધી ચાલ્યું હતું અને ઓપરેશન બાદ યુવાનનું મોત થતા તેના પિતરાઈ ભાઈ કમલેશ ચૌહાણે હોસ્પિટલની બેદરકારીને કારણે મૃત્યુ થયું હોવાના આક્ષેપ કર્યા હતા.

     મૃતકના પરિવારજનોએ હોસ્પિટલના મેનેજમેન્ટને અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ દાદ અપાયો ન હતો. અંતે પરિવારજનોએ રોષ વ્યક્ત કરીને હોબાળો મચાવતા જવાબદારો નાસી ગયા હોવાના આક્ષેપો મૃતકના ભાઈએ કર્યા હતા.

 દબડાના મૃતક ગોવિંદના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો હતો, જ્યારે રવિન્દ્ર જેઠવાના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને તબીબોની બેદરકારી સામે ઉચ્ચ સ્તરેથી પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી હતી.

 

(1:12 am IST)