ઉનાના દેલવાડાના કોઝ-વે ઉપર પાણી ફરી વળ્યા
(નવીન જોષી દ્વારા) ઉના તા. ૭ :.. મછૂન્દ્રી ડેમ ઓવરફલો થતા ઉનાની મછુન્દ્રી નદીમાં પુર આવ્યું અને દેલવાડાનો કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઇ ગયેલ છે.
ઉનાનાં તાલુકા તથા જંગલ વિસ્તારમાં રાત્રીનાં ધોધમાર વરસાદ વરસતા ગીર ગઢડા તાલુકાનાં કોદીયા ગામ પાસે આવેલ ૧૦ મીટર ઉંચો મછુન્દ્રી ડેમ ૩જા દિવસે ૧૦ સે.મી.નો ઓવરફલો ચાલુ રહેતા બે દિ' પહેલા શહેરમાં પસાર થતી મછુન્દ્રી નદીમાં પુર આવ્યુ હતું અને પાણીનાં ધસમસતા પ્રવાહને કારણે શાહ બાગ પાસે કોઝવે પાણીમાં ડૂબી ગયો હતો તેમજ દેલવાડાથી અંજાર, સીમર, દાંડી, રાજપૂત રાજપરા, ખાણ, ખજુદ્રા, સૈયદ, રાજપરા, માણેકપુર સહિત ૧૮ ગામને જોડતા ચેક ડેમ તથા કોઝવે ઉપર બે થી ૩ ફુટ પાણી વહેતા રાહદારી, વાહન ચાલકો માટે બંધ કરી દેવાયો હતો.
ઉના પંથકનો રાવલ ડેમ પણ ૧૯ મીટર પુરે પુરો ભરાઇ જતા લેવલ જાળવવા ગઇકાલે ૩ દરવાજા ૧ ફુટ ખોલાયા હતા જે આજે પાણીની આવક ઓછી થતા ૧ દરવાજો ૧પ સે.મી. એટલે અડધો ફુટ ખુલ્લો રખાતા રાવલ નદીમાં પુર ચાલુ રહયુ હતું. ચીખલ કુબા, નગડીયા, જશાધાર, ધોકડવા, સામતેરની રાવલ નદીમાં ૩-જા દિવસે પુર ચાલુ રહ્યુ હતું.