જુનાગઢના પૂર્વ મહિલા મેયરને પણ કોરોના : જિલ્લામાં કુલ કેસ રર૬૪
કેશોદ પાલિકાના આઠ કર્મચારી પણ સંક્રમિત થયા
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૭ : જુનાગઢના પૂર્વ મહિલા મેયરને પણ કોરોના થયો હોવાનું અને કેશોદ પાલિકાના આઠ કર્મચારી પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળેલ છે.
કોરોનાને છુટોદોર મળ્યો હોય તેમ જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ગઇકાલે જિલ્લામાં નવા ૩૮ કેસ નોંધાયા હતાં.
જેમાં જુનાગઢ શહેરમાં ૧૮, મેંદરડા ખાતે ૬, કેશોદ-૪, માળીયા હાટીના-૩, જુનાગઢ તાલુકા અને ભેસાણમાં બે-બે અને વંથલી, માણાવદર અને માંગરોળમાં એક-એક સામે આવેલ.
જોકે બુધવારે ૩ર દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરાયા હતાં.
દરમ્યાન જુનાગઢના પૂર્વ મેયર આદ્યાશકિતબેન મજમુદાર પણ સંક્રમિત થયા છે તેઓએ શહેરના ગાંધીગ્રામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેમનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો.
સેવાભાવી મહિલા અગ્રણી આદ્યાશકિતબેન મજમુદાર હોમ આઇસોલેટ થયા છે અને તેમની તબિયત સુધારા પર છે.
આ જ પ્રમાણે રેલ્વે સલાહકાર સમિતિના નવનિયુકત સભ્ય અને ભાજપના યુવા કાર્યકર્તા ગૌરવભાઇ રૂપારેલીયાને પણ કોરોના થયો હોવાનું જાણવા મળેલ છે.
બીજી તરફ કેશોદ નગરપાલિકાના આઠ કર્મચારીઓનો પણ રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા પાલિકા તંત્રમાં હડકંપ મચી ગયો હતો.