માસુમ પ્રિન્સની હત્યા બાદ કૌટુંબીક કાકો રસીક શંકા ન જાય તે માટે સતત પરીવારજનો સાથે રહેતો'તો!
વાંકાનેરના ઠીકરીયાળીના ચર્ચાસ્પદ રહસ્યમય અપહરણ-હત્યા કેસ પરથી મોરબી એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની ટીમે પડદો ઉંચકયો : પ્રિન્સની શોધખોળમાં સાથે રહયો'તો અને લાશ મળ્યા બાદ અંતર રાખતા શંકાસ્પદ વર્તણુંકનો ભાંડો ફુટયોઃ પકડાયેલ રસીક નાકીયાને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે : પુત્રી સાથે કુચેષ્ટા કરતા માસુમ પ્રિન્સને પતાવી દીધાની રસીકની કેફીયત પોલીસને ગળે ઉતરતી નથીઃ રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો ખુલે તેવી વકી
મોરબી, તા., ૧૭: વાંકાનેરના ઠીકરીયાળીના ગામના માસુમ પ્રિન્સ કોળી (ઉ.વ.પ)ના અપહરણ-હત્યાકેસ પરથી મોરબી એલસીબી ટીમે પડદો ઉંચકી હત્યા કરનાર કૌટુંબીક કાકા રસીક નાકીયાને ઝડપી લઇ વાંકાનેર પોલીસને હવાલે કરતા તેને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઠીકરીયાળી ગામમાં આવેલ દેવાબાપાની જગ્યાએ તા. ૨૭-૦૮ ના રોજ પ્રિન્સ પ્રવીણભાઈ નાકીયા (ઉ.વ.૦૫) નામનો બાળક દાદા સાથે ગયો હોય ત્યારે તેનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી અને તા. ૩૧ ના રોજ કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવ અંગે રેંજ આઈજી સંદીપ સિંહ અને એસપી ડો. કરનરાજ વાદ્યેલાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજા, વાંકાનેર પીએસઆઈ એસ એ ગોહિલ, પીએસઆઈ બી ડી પરમાર અને સીપીઆઈ બી ડી બ્રહ્મભટ્ટની જુદી જુદી ટીમોએ તપાસ ચલાવી હતી અને વાડીના કુવામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યા બાદ મંદિર જગ્યામાં રાખેલ સીસીટીવી કેમેરાની તલસ્પર્શી તપાસ માટે એ ડીવીઝનના નિર્મળસિંહને જવાબદારી સોપતા આરોપી રસિકલાલ નાકીયાની વર્તણુક શંકાસ્પદ લાગતા વોચ રાખી હતી અને આરોપીની સદ્યન પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને બાળકના હત્યાની કબુલાત આપી હતી
માસૂમ હત્યા કેસમાં આરોપી કૌટુંબિક કાકા રસિકભાઈ છેલુભાઈ નાકીયા રહે ઠીકરીયાળી વાંકાનેર વાળાએ પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે આરોપીની દીકરી અને મૃતક બાળક ને બાથરૂમમાં બાલ સહજ રીતે શારીરિક ચેષ્ટા કરતા હોય જે આરોપી રસીક જોઈ જતા બાળકોને ધમકાવી માર મારી અને બાદમાં આરોપી સતત એવા વિચારમાં રાચતો હતો કે ર૪ કલાક બાળકોનું ધ્યાન ન રાખી શકાય જેથી મનોમન પ્રિન્સને કાંટો કાઢી નાખવાનું નક્કી કરી ત્રણેક દિવસ વોચ કરી બનાવના દિવસે તા.ર૭-૮-૧૯ના રોજ રાત્રીના સમયે દેવાબાપાની જગ્યામાં ભજનનો કાર્યક્રમ હોય બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત હોય પ્રિન્સને ફોસલાવી ભાગ લેવાના બહાને મંદિર પાસે આવેલ કેબીને મોકલી ત્યાં જઇ મોકો શોધી બાળકને ફોસલાવી પોતાના મોટર સાયકલ પર બેસાડી ફરીને મંદિર લઇ જવાનું કહી પોતાની વાડી પાસે આવેલ કુવા પાસે લાવી બાળકને ઉતારી મોઢા ઉપર ડુમો આપી કુવાના ગારના પથ્થર સાથે માથુ અથડાવી મોત નિપજાવી વાડીમાં પડેલ સીમેન્ટનું ભુંગળુ શોધી ખેતરમાં રોઝ ભગાડવા માટે બાંધેલ ચુંદડીના કટકા વડે લાશને ભુંગળા સાથે બાંધી તેના નિકાલ કરવા માટે કુવાના પાણીમાં ફેંકી દીધેલ.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ રસીક નાકીયા ખેતી કામ કરે છે. માસુમ પ્રિન્સનું અપહરણ અને હત્યા કર્યા બાદ પોલીસને તેના પર શંકા ન જાય તે માટે પ્રિન્સની શોધખોળ માટે તેના પરીવારજનો સાથે સતત રહેતો હતો જો કે પ્રિન્સની લાશ મળ્યા બાદ આરોપી રસીકે પ્રિન્સના પરીવારજનો સાથે અંતર રાખતા અને તેની શંકાસ્પદ વર્તણુક જણાતા તે પોલીસની ચકોર નજરમાંથી છટકી શકયો ન હોય અને સીસીટીવી ફુટેજમાં પણ આરોપી રસીકની શંકાસ્પદ વર્તણુંક જણાતા તેને દબોચી લઇ આગવી ઢબે પુછતાછ કરાતા તે ભાંગી પડયો હતો જો કે પોલીસને હત્યાનું કારણ વળે ઉતરતું નથી.
માસુમ પ્રિન્સની હત્યામાં પકડાયેલ કૌટુંબીક કાકા રસીક નાકીયાને આજે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાનાર છે. રીમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો ુખુલે તેવી વકી છે. વધુ તપાસ વાંકાનેર તાલુકાના પીએસઆઇ એસ.એ.ગોહીલ તથા રાઇટર જયુભા ચલાવી રહયા છે.