ઉનાની કોબ સીમમાં ગેરકાયદે ઝીંગા ઉછેર કેન્દ્ર ર દિવસમાં બંધ કરાય નહીં તો ગ્રામ્યજનો દ્વારા આંદોલન
(નવીન જોષી દ્વારાા ઉના તા.૧૭: કોબ ગામની સીમમાં બે દિવસમાં સરકાર દ્વારા ઝીંગા ઉછેર કેન્દ્ર બંધ કરવામાં નહી આવે તો ઝીંગા ઉછેર કેન્દ્ર સામે ગ્રામજનો, ખેડૂતો, ગ્રામપંચાયત દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવા ચિમકી ઉચ્ચારી છે.
કોબ ગામમાં અસરગ્રસ્ત ખેડૂતોએ ઉનાનાં મામલતદારને લેખિતમાં રજુઆત કરી છે કે, ગામની સીમમાં કુલ ૩ જગ્યાએ ચાલતા ઝીંગા ઉછેર ફાર્મને કારણે આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં ખારાશ વધવાથી ખેતીના પાક નિષ્ફળ જાય છે. મીઠુ પાણી ખારૂ થઇ જાય છે. ગ્રામજનોમાં ટીબી, પથરી, કેન્સરના રોગોના દર્દીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે રક્ષીત ઝાડવા વાડ પણ ઉખેડી નાખવામાં આવેલ છે. આ અંગે વેરાવળ મદદનીશ અધિકારી એ પણ અભિપ્રાય આપી હુકમ કરેલ કે ખેતીવાડીને નુકસાન થતું હોય ઝીંગા ઉછેર કેન્દ્ર બંધ કરવું તેમજ ઝીંગા ઉછેર કેન્દ્રનાં કોન્ટ્રાકટરો કૃષિ કલ્યાણ ભારત સરકાર એવમ વિભાગ ચૈનોઇ પી જે લાયસન્સ આપેલ છે. તે લાઇસન્સ કલેકટરશ્રી તેમજ મત્સયઉદ્યોગ, નિયામક તથા ગુજરાત પોલ્યુસન બોર્ડ તથા એગ્રીકલ્ચર વિભાગ તેમજ જમીન શાખા કોઇપણ ખાતેદારો ખેડૂતોનો કોઇપણ પ્રકારનો અભિપ્રાય તેમજ કોબ ગ્રામ પંચાયતનો ખરાઇ કર્યા વિના લાઇસન્સ આપી દેવાયા છે. જે તાત્કાલિક અસરથી રદ કરવાં માંગણી કરી છે.
ઝીંગા કેન્દ્રનુ પાણી ખાલી કરાવી કયારા તોડાવી કેન્દ્ર બંધ નહી કરાય તો ગ્રામપંચાયત કોબના હોદેદારો, ખેડૂતો ગ્રામજનો દ્વારા ઝીંગા ઉછેર કેન્દ્રવાળી જગ્યા સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરાશે. અને જે સ્થિતિ ઉત્પન્ન થશે તેની જવાબદારી તંત્રની રહેશે તેથી વહેલીતકે કાર્યવાહી કરવા વિવિધ કચેરીને પણ જાણ કરવામાં આવી છે.(૧.૮)