મોરબી જિલ્લામાં બિયારણ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર વિક્રેતાઓને ત્યાં તપાસ
શંકાસ્પદ ૨૪ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાવાયા : ૪.૩૦ લાખની કિંમતનો જથ્થો અટકાવી નોટીસ પાઠવી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૭ : હાલ ચોમાસાની શરૂઆત હોય વાવણીની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે ખેડૂતોને યોગ્ય અને નિયત કિંમતે બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર મળી રહે તે હેતુથી સંયુકત ખેતી નિયામક (વિસ્તરણ) રાજકોટના માર્ગદર્શન હેઠળ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અને ખેતી અધિકારી મોરબીની ટીમ દ્વારા મોરબી જિલ્લામાં તા.૦૯/૦૬/૨૦૨૧થી તા.૧૫/૦૬/૨૦૨૧ સુધી આકસ્મિક સ્કોર્ડની કામગીરી કરવામાં આવી હતી.
આકસ્મિક ચેકીંગ દરમિયાન મોરબી જિલ્લાના ૫૫ વિક્રેતાઓની મુલાકાત લઈ બિયારણના ૧૭, જંતુનાશક દવાના ૫ તથા રાસાયણિક ખાતરના ૨ શંકાસ્પદ નમૂનાઓ લઇ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવેલ છે. નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં ચેકિંગ દરમિયાન બિયારણનો ૦.૫૦ લાખનો, રાસાયણિક ખાતરનો ૧.૨૯ તેમજ જંતુનાશક દવાનો ૨.૫૧ લાખનો શંકાસ્પદ જથ્થો અટકાવીને કારણદર્શક નોટીસ આપવામાં આવેલ છે તેમ નાયબ ખેતી નિયામક એસ. રએ.સીણોજીયાએ જણાવેલ છે.