મોરબીઃ ટ્રાવેલ્સ સંચાલકની હત્યામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર
મોરબી, તા., ૧૫: મોરબીમાં ગત માસે ટ્રાવેલ્સ સંચાલકોની ભત્રીજા સહીતનાઓ દ્વારા કરવામાં આવેલ હત્યા કેસમાં પોલીસે અગાઉ આરોપીની અટકાયત કરીને જેલહવાલે કર્યા છે જે હત્યા કેસમાં આજે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટે એક આરોપીના આગોતરા જામીન મંજુર કરતા તેને રાહત મળી છે.
મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાની હત્યા મામલે ફરીયાદી અર્જુનસિંહ દિગ્વીજયસિંહ ઝાલાની ફરીયાદને પગલે પોલીસે અગાઉ ભત્રીજા સહીતના આરોપીઓને ઝડપીને મુદામાલ રીકવર કરી જેલહવાલે કર્યા છે જે હત્યા કેસમાં સુરેન્દ્રનગરના રહેવાસી દિવ્યરાજસિંહ ઝાલાનું નામ પણ ખુલ્યું હોય જેથી પોલીસ આરોપીની ધરપકડ કરે તે પુર્વે આજે મોરબી ડીસ્ટ્રીકટ જજ એ ડી ઓઝા સાહેબની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેમાં આરોપી તરફેના વકીલ નરેન્દ્રસિંહ જોરૂભા ઝાલા અને યોગરાજસિંહ જનકસિંહ જાડેજાની દલીલોને માન્ય રાખીને ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપીના આગોતરા જામીન મંજુર કર્યા છે.