સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

ડો. તોગડીયાના સમર્થનમાં સૌરાષ્ટ્રમાં ધડાધડ રાજીનામા

જૂનાગઢ, સુરેન્દ્રનગર, ધોરાજી સહિત અનેક આગેવાનો, કાર્યકરોમાં ભારે નારાજગી

રાજકોટ, તા. ૧૭ :. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીયા જુથનો પરાજય થતા સૌરાષ્ટ્રમાં વિશ્વ હિન્દુ પરિષદનાં આગેવાનો, કાર્યકરોએ ધડાધડ રાજીનામા આપીને ડો. પ્રવિણભાઈ તોગડીયાને સમર્થન આપી રહ્યા છે.

આજથી અમદાવાદમાં ડો. પ્રવિણભાઈ તોગડીયાના ઉપવાસના સૌરાષ્ટ્રના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના આગેવાનો, કાર્યકરો સમર્થન આપીને અમદાવાદ આંદોલનમાં જોડાયા છે.

ધોરાજી

ધોરાજીઃ વર્ષોથી હિન્દુત્વનો ઝંડો લઈ ફરતા ફાયર બ્રાન્ડ નેતા ગણાતા ડો. પ્રવિણ તોગડીયાની વિશ્વ હિન્દુ પરિષદમાં આંતરરાષ્ટ્રીય લેવલે રૂખસદ મળતા અને ચૂંટણીમાં એમના સમર્થકની કારમી હાર થતા અને તાત્કાલીક ધોરણે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવતા જેને પગલે ડો. પ્રવિણભાઈ તોગડીયાએ તાત્કાલીક અસરથી વીએચપી છોડતા તેના ઘેરા પ્રત્યાઘાત પડેલ હતા.

અને રાજકોટ જીલ્લા (ગોંડલ)ના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વી.વી. વઘાસિયા (એડવોકેટ), ધોરાજી શહેર વીએચપીના પ્રમુખ રમેશ સાટોડીયા અને મંત્રી ડી.કે. અંટાળાએ તોગડીયાના સમર્થનમાં રાજીનામા આપી દીધા છે.

જે રાજીનામા ડો. પ્રવિણભાઈ તોગડીયાને મોકલાવેલ છે. હકીકતમાં વર્ષોથી સંઘ પરિવારમાં કામ કરતા અને હિન્દુવાદનો જેને લઈને ફરતા ગુજરાતમાં વીએચપીના અગ્રણી કાર્યકર્તાઓ આજે વ્યકિતવાદમાં આવી ગયા છે..!

સંસ્થામાં તો અધિકારીઓ બદલાતા રહેતા હોય છે પરંતુ જે સંસ્થામાં દેશ માટે કામ કરતા કાર્યકર્તાઓ કયારેય વ્યકિતવાદમાં આવતા નથી...! એ સંઘના સંસ્કાર પણ નથી.

સુરેન્દ્રનગર

વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ સંગઠનમાં ભંગાણ સર્જાયુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ગૌરક્ષા સંયોજક, બજરંગ દળ, વિહિપના ૮૦થી વધુ આગેવાનોના રાજીનામા પડયા છે. જ્યારે અમદાવાદ ખાતે પ્રવિણ તોગડીયાના ઉપવાસમાં જોડાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં બસ સહિત વાહનોનો કાફલો અમદાવાદ પહોંચ્યો છે.

૩૦ વર્ષ સુધી હિન્દુઓ માટે સમગ્ર જીવન અર્પણ કરનાર ડો. પ્રવિણ તોગડીયાના ગ્રુપનો વિશ્વ હિન્દુ પરિષદની સૌ પ્રથમ ચૂંટણીમાં પરાજય થયો છે ત્યારે આર.એસ.એસ. અને વિ.એચ.પી.માં સરકારીકરણના આક્ષેપ સાથે હિન્દુ કાર્યકરોનો લડાયક મિજાજ નવા-જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ દરમિયાન ડો. પ્રવિણ તોગડીયાએ કર્ણાવતી આવીને તા. ૧૭ એપ્રિલથી આમરણ ઉપવાસની જાહેરાત કરતા કેન્દ્ર અને રાજ્યની સરકાર પણ આ કાર્યક્રમ સામે વોચ ગોઠવી દીધી છે ત્યારે આ ઘટનાના ઘેરા પડઘા ઝાલાવાડ પંથકમાં પડયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ સંગઠનમાં ભંગાણ સર્જાયુ છે. ગૌરક્ષા સંયોજક, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદના ૮૦થી વધુ આગેવાનોએ રાજીનામા આપ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદમાં ભંગાણ સર્જાયુ છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના સુરેન્દ્રનગર જિલ્લાના મંત્રી જગદીશભાઈ વડોદરીયાએ જણાવ્યુ કે, વિ.એચ.પી. માટે હાલ સંકટની ઘડી છે. ડો. પ્રવિણ તોગડીયાનું યોગદાન સુરેન્દ્રનગર જિલ્લા ભૂલી શકે તેમ નથી. જેમા સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૮૫ જેટલા આગેવાનોએ અને હોદેદારોએ રાજીનામા આપી દીધા છે, જ્યારે કર્ણાવતી ખાતેના ઉપવાસ આંદોલનમાં જિલ્લામાંથી ૧૦૦થી વધુ કાર્યકરો જોડાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદમાં ભંગાણ સર્જાયુ છે ત્યારે ૮૫ આગેવાનોએ રાજીનામા આપ્યાનું જગદીશભાઈએ જણાવ્યુ હતુ. જેમાં મનહરભાઈ ચાવડા, ધર્મેન્દ્રભાઈ પટેલ, લકુમ અંકિતભાઈ, રૂપાભાઈ ભરવાડ, ભરતભાઈ કંસારા, કિશોરસિંહ રાણા, પંકજભાઈ દવે, ચંદુભાઈ વાળા, સનદભાઈ વાણીયા, સુખદેવસિંહ ઝાલા, કમલેશભાઈ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની, ધર્મ જાગરણ, સત્સંગ કેન્દ્ર વગેરેમાંથી પણ રાજીનામા પડયા છે તેવી માહિતી પણ તેઓ આપી હતી.

(11:43 am IST)