કાલે ભાવનગરમાં પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાઃ સંતો-મહંતો જોડાશે
ભાવનગર તા.૧૭ : કાલે અખાત્રીજનાં રોજ ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા શહેરમાં ૧૮ કિ.મી. રૂટ પર ફરશે. શોભાયાત્રામા઼ સંતો-મહંતો અને બ્રહ્મસમાજનાં આગેવાનો લોકો મોટી સંખ્યામાં જોડાશે.
ભગવાનશ્રી પરશુરામની શોભાયાત્રા સમિતિ ભાવનગર દ્વારા ભગવાનશ્રી પરશુરામ જન્મજયંતિ નિમિતે અખાત્રીજ તા. ૧૮/૪ નાં રોજ ભગવાનશ્રી પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળશે. સવારે ૭/૩૦ કલાકે અખલોલ મહાદેવ મંદિર અખલોલ જકાતનાકા એ થી પ્રસ્થાન થશે. પૂ. સીતારામબાપુ, રામકૃષ્ણશાસ્ત્રીજી (છોટેમોરારી) સહિતનાં સંતો-મહંતો અને બ્રહ્મસમાજનાં આગેવાનો બહોળી સંખ્યામાં જોડાશે.આ શોભાયાત્રા અંગે પત્રકાર-પરીષદમાં માહિતી આપતાં રાજુભાઇ ઉપાધ્યાય, પારૂલબેન ત્રિવેદી, મહિપતભાઇ ત્રિવેદી વિગેરે એ જણાવ્યું છે કે શોભાયાત્રા શહેરનાં ૧૮ કિ.મી વિસ્તારોમાં ફરશે. અને શહેરનાં કાળીયાવીડ મેસડીખાતેના મંદિરમાં શોભાયાત્રા પુરી થયા બાદ ધર્મસભામાં ફેરવાશે. અખાત્રીજનાં રોજ ભાવનગરનો જન્મદિવસ હોય તેની પણ કેક કાપી ઉજવણી કરાશે.