સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

કુચીયાદડમાં ગૂંજશે 'રામનામ'...પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસરાવશે 'પુણ્ય'

શ્રી રામજી મંદિરે ૨૫મીથી ત્રિદિસીય ધર્મોત્સવનો પ્રારંભઃ દરરોજ ધર્મભીના વિવિધ ઉત્સવોઃ સંત શિરોમણી નૃત્ય ગોપાલદાસજી મહારાજ (અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ અધ્યક્ષ), શેરનાથબાપુ (જુનાગઢ) સહિતના સંતો-મહંતોનું રહેશે શુભ સાનિધ્યઃ ભાવિકોમાં અનેરો ઉત્સાહ

રાજકોટ,તા.૧૭: શહેર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં વિવિધ ધર્મોત્સવનો લ્હાવો લઇ સૌ ભાવિકો પુણ્યનું ભાથું બાંધી રહયા છે, એવી જ રીતે કુવાડવા પંથકના કુચીયાદડ ગામે પણ શ્રી રામજી મંદિરે ૨૫મીથી આસ્થાભેર પ્રારંભ થનાર ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુંજનાર શ્રીરામનામનો નાદ ચો તરફ પુણ્યનો પ્રકાશ પથરાવશે.

જેમાં પ્રથમ દિવસે સવારે ૬ વાગ્યે હેમાદ્રી દેહશુધ્ધિ, ૮ વાગ્યે ગણેશ પૂજન, ૧૦-૩૦ કલાકે મંડપ મુહુર્ત, ૧૦-૪૫ કલાકે સ્થાપિત દેવપૂજન, ૧૨ વાગ્યે જલયાત્રા બાદ અરણી મંથન દ્વારા અગ્નિ નારાયણ પ્રાગટય તથા રાત્રે ૯ વાગ્યાથી રાસ-ગરબા યોજાશે... બીજા દિવસે પણ વહેલી સવારેથી શ્રીરામચંદ્રજી, ઠાકોરદાદા, વિષ્ણુ-લક્ષ્મીજી, શિવ પંચાયત દેવ, રાજોપચાર પૂજા, કુટિર હોમ, જલાધિવાસ બાદ બપોરે ૨-૩૦ કલાકે નગરયાત્રાનું અયોજન છે.એવી જ રીતે ત્રીજા દિવસે પણ સવારે ૬ વાગ્યે પ્રાસાદાધિ વાસન, મૂર્તિન્યાસ વિધી, સ્થાપિત પ્રતિષ્ઠીત હોમ-મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાવિધી, કળશ ધજારોહણ, મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા બાદ બપોરે ૧ વા્યે બીડુ હોમાયા પછી ૧-૩૦ વાગ્યે મહાઆરતી યોજાનાર છે.

આ પ્રસંગે સંત શિરોમણી મહંત પૂ.નૃત્ય ગોપાલદાસજી મહારાજ (અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ અધ્યક્ષ-મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ અધ્યક્ષ-શ્રી મણીરામદાસ છાવની, અયોધ્યા), મહંત શેરનાથ બાપુ (ગોરખનાથ આશ્રમ-જુનાગઢ), સત્યનારાયણદાસ (સાગર-એમપી), જાનકીદાસ (અયોધ્યા), રામરક્ષાદાસ (અયોધ્યા), કિશોરદાસ બાપુ (ઠાકરની જગ્યા-કુચીયાદડ), ભગવાનદાસ બાપુ-ત્યાગીજી (કરશનદાસ બાપુ મંદિર,કુચીયાદડ) સહિત વિવિધ ધર્મસ્થાનોના સંતો-મહંતોનું શુભ સાનિધ્ય રહેનાર છે...સાથે સાથે મુખ્ય અતિથી તરીકે પરેશભાઇ ગજેરા (પ્રમુખ-ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ), વિનુભાઇ સીરોયા (વિ.એમ.પટેલ ગૃપ), પૃથ્વીસિંહ જાડેજા (રાજકોટ તાલકા પંચાયત પ્રમુખ), અરવિંદભાઇ રૈયાણી (ધારાસભ્ય- વિધાનસભા ૬૮), મહમદ જાવેદ પીરજાદા (ધારાસભ્ય -વાંકાનેર), જાદવભાઇ દેવરાજભાઇ (સી.કે. ઇન્ડસ્ટ્રીવ્-કુવાડવા), ઠાકરશીભાઇ પાંચાભાઇ (પ્રમુખ-ખે.વી.સ.મં. કુવાડવા) સહિત વિવિધ મહેમાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

ધર્મોત્સવ દરમિયાન પ્રથમ દિવસે  સવારે ૭-૩૦ કલાકેથી શ્રી ગેલ માતાજીનો નવચંડી યજ્ઞ પ્રારંભ થયા બાદ બપોરે ૨ વાગ્યે બીડુ હોમાશે...સાથે સાથે ત્રણે ત્રણ દિવસ સુધી ૩૫ કુંડી યજ્ઞ પણ ચાલુ રહનાર હોવાથી ભુદેવોના મંત્રોચ્ચાર સાથે યજમાન દંપતિઓ દ્વારા અગ્નિદેવતાની સાક્ષીએ આહુતિઓ હોમી પુણ્યનું ભાથું બંધાશે.

અત્રે નોંધનીય છે કે, ૨૬મીએ રાત્રે ૯ વાગ્યેથી પ્રારંભ થનારા કસુંબલ લોકડાયરામાં રાજભા ગઢવી અને અલ્પા પટેલ સહિતના વિવિધ કલાકારો સાજીંદાઓ સાથે લોકગીત અને લોક સાહિત્યની રમઝટ બોલાવશે.યજ્ઞમાં શાસ્ત્રીજી દેવાંગ અદા (કુચીયાદડ), અમીત અદા (જારીયા) રહેનાર છે...ધર્મોત્સવને સફળ બનાવવા ગામના તમામ સેવાભાવી યુવાનો સહિત સૌ કોઇ જહેમતશીલ છે.સૌ ધર્મપ્રેમીજનોને લાભ લેવા મંદિરના પુજારી પ્રવિણદાસ કેશવદાસ ગોંડલીયા અને સમસ્ત ગામ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.(૨૧.૪)

ત્રણે ત્રણ દિ' મહાપ્રસાદ

ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લઇ જીવનને કૃતાર્થ કરવાના ભાગરૂપે અનેક શ્રધ્ધાળુઓ ઉમટી પડવાના છે ત્યારે સૌ ભાવિકો કથા શ્રવણ સાથે સાથે મહાપ્રસાદનો પણ લાભ લઇ શકે તે માટે ત્રણેય  દિવસ સુધી બપોરે ૧૨ થી ૨ સુધી મહાપ્રસાદ ચાલુ રહેશે.

રંગ કસુંબલ લોકડાયરો

ત્રણે ત્રણ દિ' ૩૫ કુંડી યજ્ઞમાં ભુદેવોના મંત્રોચ્ચાર સાથે યજમાન દંપતિઓ દ્વારા હોમાશે આહુતિઓ...રંગ કસુંબલ લોકડાયરામાં રાજભા ગઢવી, અલ્પા પટેલ સંગાથે જામશે લોકગીત, લોકસાહિત્યની જમાવટ

સંત દેખી નમન કરીએ... મહંત નૃત્ય ગોપાલદાસજી  મહારાજની પાવન પધરામણી, દર્શનનો લેવાશે લ્હાવો

રાજકોટઃ શહેર સહિત સૌરાષ્ટ્રભરમાં અવાર-નવાર વિવિધ ધર્મોત્સવો અને સંતો-મહંતોના શુભ સાનિધ્યમાં યોજાતા પાવન પ્રસંગો માણી સૌ કોઇ ભાવિકો ધન્યતા અનુભવતા હોય છે, એમાંયે કોઇ સાધુ-સંત કે મહાત્માની પધરામણી થતી હોય તો ઉત્સાહનો પાર રહેતો નથી...

એવી જ રીતે રાજકોટમાં પણ અયોધ્યા શ્રીરામ જન્મભૂમિના અધ્યક્ષ અને અનંત શ્રી વિભુષિત વૈષ્ણવ કુલભુષણ સંતશિરોમણી  શ્રી નૃત્ય ગોપાલદાસજી મહારાજના પાવન પગલા પડવાના હોવાથી દર્શન-આર્શિવાદનો લાભ લેવા ભાવિકો અધીરા બન્યા છે.

કુવાડવા પાસેના કુચીયાદડ ગામે શ્રીરામજી મંદિરે યોજાનાર ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં આર્શિવચન પાઠવવા આવનારા પૂ.નૃત્ય ગોપાલદાસજી મહારાજ રાજકોટ ખાતે પણ ભકતજનોને સત્સંગ-દર્શનનો લાભ આપશે.

ભાવેશભાઇ ગણેશભાઇ  દેથરીયા (મો.૯૮૭૯૦ ૦૪૧૪૦)ના નિવાસસ્થાને  એબીસી હાઉસ, ૧૦/૧૮ શકિત સોસાયટી, સરદાર સ્કુલની પાછળ, સંતકબીર રોડ, રાજકોટ ખાતે બાપુના ઉતારાની વ્યવસ્થા થવાની હોવાથી તા.૨૫મીથી ૨૭ એમ ત્રણ દિવસ સવારે ૧૦ વાગ્યે દરમિયાન ભાવિકો દર્શન કરી શકશે...સૌ ધર્મપ્રેમીજનો, શ્રધ્ધાળઓને લાભ લેવા ભાવેશભાઇ દેથરીયા અને સમસ્ત રાજકોટ ભકત મંડલી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

(10:06 am IST)